Brain damage alert: આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે યોગ્ય ખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે ક્યારેક ક્યારેક જંક ફૂડનું સેવન કરો છો તો પણ તે તમારા મગજ પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં તમારે જંક ફૂડ ખાતા પહેલા બે વાર વિચારવું જોઈએ. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, સામાન્ય મિલ્કશેક પણ તમારા મગજને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મિલ્કશેક તમારા મગજ સુધી પહોંચતા રક્ત પ્રવાહને અસર કરી શકે છે. આ સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવા ગંભીર રોગોનું જોખમ વધારે છે. આ અભ્યાસ ધ જર્નલ ઓફ ન્યુટ્રિશનલ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયો છે.
અભ્યાસમાં શું જાણવા મળ્યું
ચરબી આપણા શરીરને ઉર્જા પૂરી પાડવા માટે જરૂરી છે. ચરબી શરીરના માળખાકીય ભાગોના નિર્માણમાં મદદ કરે છે. ફેટ સોલ્યૂબલ વિટામીન્સને લઈ જાય છે અને ડેવલપમેન્ટ સહિત અનેક જરૂરી બાયોલોજિકલ ફન્ક્શનિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચરબી બે પ્રકારની હોય છે – સેચ્યુરેટેડ ફેટ અને અન સેચ્યુરેટેડ. તેની કેમિકલ કમ્પોઝિશન અલગ હોય છે અને શરીર પર તેમની અસરો પણ અલગ હોય છે. આ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મિલ્કશેક અથવા તળેલા ખોરાક જેવા વધુ ચરબીવાળા ખોરાક શરીર પર તરત જ ખરાબ અસર કરી શકે છે. તે રક્ત વાહિનીઓની સંકોચન કરવાની ક્ષમતાને અસર કરે છે જે હૃદય અને મગજ બંને માટે ખતરનાક બની શકે છે.
સંશોધનમાં પુરુષોના બે જૂથોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એક 18-35 વર્ષ અને બીજો 60-80 વર્ષ વચ્ચે. તેમને હેવી ફેટવાળા ખોરાક આપવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને મિલ્કશેકનો સમાવેશ થતો હતો, જેને 'બ્રેઇન બોમ્બ' કહેવામાં આવતું હતું કારણ કે તેમાં ઘણી બધી વ્હિપિંગ ક્રીમ હતી. આ પીણું લગભગ 1362 કેલરી અને 130 ગ્રામ ચરબીથી ભરેલું હતું, જે ફાસ્ટ ફૂડ જેટલું હતું.
સંશોધનનું પરિણામ શું હતું?
પરિણામો દર્શાવે છે કે હાઈ ફેટ ખાવું હૃદય સાથે જોડાયેલ રક્ત વાહિનીઓની ખોલવાની ક્ષમતા ઘટાડે છે, જે મગજમાં રક્ત પુરવઠાને અસર કરે છે. વૃદ્ધોમાં આ અસર લગભગ 10 ટકા વધુ હતી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે વૃદ્ધાવસ્થામાં મગજ આવા ખોરાકની અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર ખોરાક ખાવાથી માત્ર હૃદયના સ્વાસ્થ્યને જ જોખમ નથી થતું, પરંતુ મગજ પર પણ અસર પડે છે. વૃદ્ધો માટે આવી વસ્તુઓથી દૂર રહેવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તેમના મગજમાં પહેલાથી જ સ્ટ્રોક અને ન્યુરોડિજનરેટિવ રોગોનું જોખમ રહેલું છે.
જોકે એક કે બે વાર વધુ ચરબી ખાવાથી તમને તાત્કાલિક નુકસાન થતું નથી તેમ છતાં તેનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે. તેથી તમારા દૈનિક આહારમાં સંતુલન રાખવું અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ઘટાડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. યાદ રાખો યોગ્ય આહારથી જ આપણે હૃદય અને મગજ બંનેને સ્વસ્થ રાખી શકીએ છીએ.