કૃત્રિમ મીઠાશ (Artificial Sweetness)ના પરિણામો:


આજના દોડધામવાળા જીવનમાં દરેક લોકો તંદુરસ્ત રહેવા માટે વિવિધ જાતના ઉપાય અજમાવે છે. તેમાંનો જ એક ઉપાય આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરવાનો છે. આ કૃત્રિમ મીઠાશ વજન ઘટાડવામાં ખુબ ઉપયોગી હોય છે. કૃત્રિમ મીઠાશ ઘણી બધી રીતે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મનાય છે. જોકે, તેના ઘણા બધા  ફાયદા સાથે જ નુકસાન પણ છે. 


છેલ્લા કેટલાક સમયથી કૃત્રિમ મીઠાશનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ કૃત્રિમ મીઠાશનો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો, તે જીંદગીભર ચાલતી બીમારીઓ જેવી કે ડાયાબિટીઝ અને કેન્સર થવાની સંભાવના છે.


જાણો, કૃત્રિમ મીઠાશ (Artificial Sweetness) શું છે ?


આર્ટિફિશિયલ સ્વીટનર(Artificial Sweetner) અનેક પ્રકારના ખાદ્ય-પદાર્થ અને કેમિકલ્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેથી તેમાં કેટલી મીઠાશ( Sweetness) છે તેનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે એક ચમચી ખાંડ કરતાં પણ એક નાની એવી ગોળીમાં વધુ ગળપણ હોય છે.


મોટાભાગના લોકો આર્ટિફિશિયલ સ્વીટનર(Artificial Sweetner)નો ઉપયોગ વજનમાં ઘટાડવામાં અને ડાયબિટીઝ જેવી ગંભીર બિમારીથી બચવા માટે કરે છે. કૃત્રિમ મીઠાશ(Artificial Sweetness)માં કેલરીનું પ્રમાણ 0 હોય છે. જ્યારે એક ચમચી ખાંડમાં કેલરીનું પ્રમાણ 16 હોય છે. જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો તે દ્રષ્ટિએ આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.


આરોગ્યના ઘણા નિષ્ણાંતો કહે છે,  કે આર્ટિફિશિયલ સ્વીટનર (Artificial Sweetner)માંથી કેન્સર થઈ શકે છે. અમુક ઉંદરો પર કૃત્રિમ સેકરિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના પરિણામ સ્વરૂપે ઉંદરો મૂત્રપિંડના કેન્સરથી પીડાતા હતાં. પરંતુ રાષ્ટ્રીય કેન્સર સંસ્થા અને અન્ય આરોગ્ય મંત્રાલયો અનુસાર, આ વાતનું હજુ સુધી કોઈ સચોટ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આર્ટીફિશિયલ સ્વીટનરથી કેન્સર થાય છે. એક્સપર્ટ કહે છે કે, આર્ટિફિશિયલ સ્વીટનરની સીમિત માત્રા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કેટલાક લોકો ડોકટરની સલાહ વિના તેનો ઉપયોગ કરવા લાગે છે. તે જરૂરી નથી કે આર્ટિફિશિયલ સ્વીટનર બધાને સમાન રીતે લાભ પહોંચાડે તેથી જરૂરી છે કે તેના ઉપયોગ પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લો.