beetroot juice and chewing gum study: હાઈ બ્લડ પ્રેશર (BP) ની સમસ્યા આજકાલ આખી દુનિયામાં સામાન્ય બની ગઈ છે. લોકો તેને કંટ્રોલ કરવા માટે રોજ દવાઓ ખાય છે અને ખાવાપીવામાં પણ ઘણું ધ્યાન રાખે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક નવા અને અનોખા રિસર્ચમાં ખૂબ જ રસપ્રદ દાવો કરવામાં આવ્યો છે. સંશોધકોના મતે, બીટરૂટ જેવો નાઈટ્રેટથી ભરપૂર ખોરાક લીધા પછી જો સુગરવાળી (ખાંડ આધારિત) ચ્યુઇંગ ગમ ચાવવામાં આવે, તો તેનાથી હાઈ બ્લડ પ્રેશર થોડા સમય માટે કંટ્રોલમાં આવી શકે છે. આ અભ્યાસમાં મોંની અંદરનું વાતાવરણ શરીરના બ્લડ પ્રેશર પર કેવી અસર કરે છે, તે અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે.
નાઈટ્રેટ અને બ્લડ પ્રેશર વચ્ચે શું કનેક્શન છે?
બીટરૂટ, પાલક અને કાલે જેવા શાકભાજીમાં 'નાઈટ્રેટ' નામનું તત્વ કુદરતી રીતે જ હોય છે. આપણું શરીર આ નાઈટ્રેટનો સીધો ઉપયોગ કરી શકતું નથી. આથી, આપણા મોંમાં રહેલા બેક્ટેરિયા પહેલા તેને 'નાઈટ્રાઈટ'માં ફેરવે છે. એકવાર નાઈટ્રાઈટ બની ગયા પછી, તે રક્તવાહિનીઓ (નસો) ને આરામ આપે છે અને તેને પહોળી કરે છે. જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને બ્લડ પ્રેશર ઘટે છે.
આ નવું રિસર્ચ કેવી રીતે કરવામાં આવ્યું?
કિંગ્સ કોલેજ લંડનના ડૉ. એન્ડ્રુ વેબ અને તેમની ટીમે આ માટે સ્વસ્થ લોકો પર એક પ્રયોગ કર્યો હતો:
સૌથી પહેલા તમામ લોકોને બીટરૂટના રસનો એક ડોઝ આપવામાં આવ્યો.
પછી તેમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. એક ગ્રુપને સુગરવાળી ચ્યુઇંગ ગમ (Hubba Bubba) અને બીજા ગ્રુપને સુગર-ફ્રી ચ્યુઇંગ ગમ (Wrigley's Extra) 3 થી 6 કલાક માટે ચાવવા આપવામાં આવી.
આ સમય દરમિયાન તેમના લોહી, લાળ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી.
1 અઠવાડિયા પછી આ જ પ્રયોગ ફરીથી કરવામાં આવ્યો, પણ આ વખતે બંને ગ્રુપની ચ્યુઇંગ ગમ બદલી નાખવામાં આવી.
રિસર્ચનું શું પરિણામ આવ્યું?
આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે લોકોએ સુગરવાળી ગમ ચાવી હતી તેમના મોંમાં લાળની એસિડિટી વધી ગઈ હતી (pH સ્તર 1.4 પોઈન્ટ ઘટ્યું હતું).
આના કારણે તેમના મોંમાં નાઈટ્રાઈટનું પ્રમાણ 45 ટકા અને શરીરમાં 25 ટકા વધારે જોવા મળ્યું.
પરિણામે, તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર લગભગ 3 mmHg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 2 mmHg જેટલું ઘટી ગયું હતું.
આ પણ વાંચોઃ 7 દિવસ રોજ બીટનો રસ પીશો તો શું થશે? આ રહ્યા ફાયદા!
શું આ હાઈ બીપીની કાયમી સારવાર છે?
સંશોધકોએ સ્પષ્ટતા કરી છે કે આ રિસર્ચનો અર્થ એવો બિલકુલ નથી કે હાઈ બીપીના દર્દીઓએ હવે રોજ સુગરવાળી ચ્યુઇંગ ગમ ચાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ચ્યુઇંગ ગમની અસર માત્ર થોડા કલાકો પૂરતી જ રહે છે. ઉપરાંત, લાંબા સમય સુધી ખાંડવાળી ગમ ચાવવાથી દાંત ખરાબ થઈ શકે છે અને મેટાબોલિઝમ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય રિસર્ચ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આને કોઈપણ તબીબી સલાહ કે સારવારનો વિકલ્પ ન ગણવો. કોઈપણ નવો પ્રયોગ કે આહારમાં ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી.
આ પણ વાંચોઃ દરરોજ 1 બીટ ખાશો તો શરીરમાં શું થશે? જાણો ગજબના ફાયદા!
