Diabetes: જો તમે સુગરની બીમારીને ખૂબ હળવાશથી લેતા હોવ તો સાવધાન થઈ જાઓ, તમારી આ બેદરકારી સ્વાસ્થ્ય પર ખૂબ ભારે પડી શકે છે. આંકડા દર્શાવે છે કે વિશ્વભરમાં 58 કરોડથી વધુ પુખ્ત વયના લોકો ડાયાબિટીસનો ભોગ બનેલા છે, એટલે કે દર 9 માંથી લગભગ 1 વ્યક્તિને આ બીમારી છે. એટલું જ નહીં, નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે વર્ષ 2050 સુધીમાં આ સંખ્યા વધીને 85 કરોડને પણ પાર કરી શકે છે.

Continues below advertisement

એટલું જ નહીં, ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના આંકડા દર્શાવે છે કે 10 માંથી 4 થી વધુ પુખ્ત વયના લોકોને એ ખબર પણ નથી હોતી કે તેમને આ બીમારી છે, જે વધુ ખતરનાક સ્થિતિ છે. વિશ્વભરમાં તેની સારવાર પાછળ થતો ખર્ચ 1 trillion dollar થી પણ વધુ છે.

આ પણ વાંચો...Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

Continues below advertisement

ડોકટરો કહે છે કે, જ્યારે પણ ડાયાબિટીસની વાત આવે છે, ત્યારે પહેલો સવાલ એ જ ઊભો થાય છે કે શું વધુ ખાંડ ખાવાથી ડાયાબિટીસ થાય છે? ઘણા લોકો માને છે કે જો તેઓ મીઠાઈ કે ખાંડ ખાવાનું બંધ કરી દે, તો તેમને ક્યારેય ડાયાબિટીસ નહીં થાય. શું વાસ્તવમાં આ વાતમાં કોઈ સત્યતા છે?

ડાયાબિટીસની વધતી સમસ્યા

ડોકટરો કહે છે કે, ખાંડ ખાવાથી નિશ્ચિતપણે તમારું સુગર લેવલ વધી જાય છે પરંતુ ડાયાબિટીસ એ માત્ર ખાંડ ખાવાથી થતી બીમારી નથી. આ એક મેટાબોલિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અથવા તો ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. આ કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવા લાગે છે.

ડાયાબિટીસ માટે માત્ર ખાંડ ખાવી જ નહીં, પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલને પણ મોટું કારણ માનવામાં આવે છે. જે લોકો કલાકો સુધી બેસી રહે છે, સ્થૂળતાનો શિકાર છે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ વધુ ખાય છે, વારંવાર તણાવમાં રહે છે અથવા તો ઊંઘ પૂરી કરી શકતા નથી, તેમનામાં પણ ડાયાબિટીસનું જોખમ વધુ જોવા મળે છે.

ખાંડ ખાવાથી ડાયાબિટીસનું જોખમ

ડોકટરો કહે છે કે, સીધી રીતે માત્ર ખાંડ ખાવી એ ડાયાબિટીસનું એકમાત્ર કારણ નથી. ટાઇપ-2 ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા સંવેદનશીલ (ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ) બની જાય છે અથવા સ્વાદુપિંડ (Pancreas) પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી. વધુ ખાંડ અને ગળ્યા પીણાંનું સતત સેવન કરવાથી વજન વધી શકે છે, જેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું જોખમ વધે છે. તેથી ખાંડ તમારા જોખમોને વધારી શકે છે, પરંતુ તે આ બીમારીનું એકમાત્ર કારણ નથી.

ડાયાબિટીસથી બચવા આ વસ્તુઓથી પણ દૂર રહો

સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, માત્ર મીઠાઈ જ નહીં, પરંતુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, સફેદ બ્રેડ-મેંદો અને કેક-બિસ્કિટ પણ બ્લડ સુગર વધારી શકે છે. પેકેજ્ડ જ્યુસ અને વધુ પડતી તળેલી વાનગીઓ વારંવાર ખાવાથી પણ બ્લડ સુગર અને વજન પર નકારાત્મક અસર પડી શકે છે. આ ખોરાકમાં અવારનવાર રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ, અનહેલ્ધી ફેટ્સ અને વધારાનું મીઠું-ખાંડ હોય છે.

આ ઉપરાંત અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે સતત ઊંઘ પૂરી ન થવી અને લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી શરીરનું હોર્મોનલ સંતુલન ખોરવાય છે. આનાથી કોર્ટિસોલ જેવા હોર્મોન્સ વધી શકે છે, જે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા પર અસર કરે છે. તણાવ દરમિયાન લોકો બિનઆરોગ્યપ્રદ ખોરાક વધુ ખાય છે અને શારીરિક પ્રવૃત્તિ પણ ઘટી જાય છે, જેની અસર સુગર લેવલ પર જોવા મળે છે.

પેટ બહાર નીકળી રહ્યું હોય તો પણ સાવધાન

ડોકટરો કહે છે કે, ટાઇપ-2 ડાયાબિટીસનું એક મોટું કારણ સ્થૂળતા, ખાસ કરીને પેટની આસપાસ જમા થયેલી ચરબી (Belly Fat) છે. વધારાની ચરબી શરીરમાં બળતરા (Inflammation) વધારે છે અને ઇન્સ્યુલિનની કાર્યક્ષમતાને અસર કરે છે. શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવી અને હાઇ કેલરી વાળી વસ્તુઓ ખાવાથી પણ જોખમ વધવાની શક્યતા રહે છે. નિયમિત વ્યાયામ અને વજન કંટ્રોલમાં રાખવાથી ડાયાબિટીસના જોખમને ઘણું ઘટાડી શકાય છે.

કઈ વસ્તુઓથી પરહેજ કરવો?

નિષ્ણાતો સલાહ આપે છે કે ગળ્યા પીણાં અને ખાંડ વાળી વસ્તુઓની સાથે, અતિશય પ્રોસેસ્ડ સ્નેક્સ, ટ્રાન્સ ફેટ ધરાવતા ખાદ્યપદાર્થો અને ધૂમ્રપાન-દારૂના સેવનથી બચવું જોઈએ. લાંબા સમય સુધી બેસી રહેવાની ટેવ પણ જોખમ વધારી શકે છે. ખોરાકની માત્રા ઘટાડવી, નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર અપનાવવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટ મધ્યમ તીવ્રતાનો વ્યાયામ કરો અને પૂરતી ઊંઘ લો, આનાથી પણ જોખમ ઘણું ઘટાડી શકાય છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.