Covid - 19: આજથી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે, થર્મલ સ્ક્રીનિંગ પણ કરવું પડશે.


India Covid-19: એરપોર્ટ પર તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ, એરપોર્ટમાં આવતાની સાથે હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરશે.


India Covid-19 Udapte: ચીનમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને ભારતને એલર્ટ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જરૂરી એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત ભારતમાં શનિવાર (24 ડિસેમ્બર)થી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે રેન્ડમ કોવિડ ટેસ્ટ જરૂરી બની ગયો છે. આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ફ્લાઇટના કુલ મુસાફરોમાંથી 2 ટકાનો રેન્ડમ ટેસ્ટ પણ કરવામાં આવશે. કોરોનાના વધતા જતા જોખમને ધ્યાનમાં  રાખી શનિવારે સવારે 10 વાગ્યાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ ટેસ્ટનો નિયમ પણ લાગુ કરવામાં આવશે.


આરોગ્ય મંત્રાલય દ્વારા Ministry of Civil Aviationને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવનારા 2 ટકા મુસાફરોનો 24 ડિસેમ્બરથી રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એરલાઇન્સ કંપની નક્કી કરશે કે કયા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. વિવિધ દેશોમાંથી મુસાફરી કરનારા મુસાફરોને પણ પરીક્ષણમાં સામેલ કરવામાં આવશે. એડવાઈઝરી મુજબ આ મુસાફરોના સેમ્પલ લેવામાં આવશે અને તેમને જવા દેવામાં આવશે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો રેન્ડમ ટેસ્ટ પછી કોઈ પેસેન્જર કોવિડ સંક્રમિત હોવાનું જણાય છે, તો એ સેમ્પલને જીનોમિક ટેસ્ટ માટે મોકલવામાં આવવું જોઈએ.


થર્મલ સ્ક્રિનિંગનો આદેશ 


વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને લઈને ઘણી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પડી છે. સરકારની એડવાઈઝરી મુજબ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે, એરપોર્ટમાં પ્રવેશ કરતાની સાથે જ, ત્યાં હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ પણ કરશે. આ સમય દરમિયાન, જો આરોગ્ય અધિકારીઓને કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેને પ્રોટોકોલ હેઠળ તબીબી સુવિધા આપવામાં આવશે. આરોગ્ય વિભાગે એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને પ્રોટોકોલનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.


Advisoryના કેટલાક મહત્વના મુદ્દાઓ 


1. 2 % આંતરરાષ્ટ્રીય મુસાફરોનો રેન્ડમ કોરોના ટેસ્ટ થશે.


2. રેન્ડમ ટેસ્ટિંગ માટે માત્ર એરલાઈન્સ જ મુસાફરોની પસંદગી કરશે. આમાં મોટાભાગે એવા મુસાફરોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ વિવિધ દેશોમાંથી મુસાફરી કરીને પરત ફર્યા છે. તેમના સેમ્પલ લીધા બાદ તેમને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે.


3. જો ટેસ્ટિંગ દરમિયાન પેસેન્જર કોરોના પોઝિટિવ જોવા મળે છે, તો તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.


4. કોરોના પોઝિટિવ મુસાફરોને પ્રોટોકોલ મુજબ અલગ રાખવામાં આવશે.


5. જો કે, 12 વર્ષથી નીચેના બાળકોને રેન્ડમ ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે.


6. એડવાઈઝરીમાં તમામ મુસાફરોને પોતાની સંભાળ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે, જો કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 1075 પર તેની જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે.