Lemon Water Benefits: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા અને ડિહાઇડ્રેશનથી બચવા માટે લોકો લીંબુ પાણીનો સૌથી વધુ સહારો લેતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે સ્વાદ વધારવાની લ્હાયમાં લીંબુ પાણીમાં વધુ પડતી ખાંડ ઉમેરવાની આદત આ સ્વાસ્થ્યવર્ધક પીણાને ઝેરમાં ફેરવી શકે છે? નિષ્ણાતોના મતે, અમૃત સમાન ગણાતા આ પીણામાં ખાંડ ભેળવવાથી તેના મૂળ ફાયદાઓ નાશ પામે છે અને લાંબા ગાળે તે શરીર માટે મોટું નુકસાનકારક સાબિત થઈ શકે છે. રોજ લીંબુ પાણી પીતા લોકોએ આ વાત ખાસ સમજવી જોઈએ.
ખાંડ વગરનું લીંબુ પાણી પીવાના અઢળક ફાયદાઓ
ભારતીય ઘરોમાં વર્ષોથી કાળું મીઠું, સિંધવ મીઠું કે શેકેલા જીરા સાથે લીંબુ પાણી બનાવવાની પરંપરા છે. આ દેશી મિશ્રણ ગરમ દિવસોમાં શરીરને હાઇડ્રેટ રાખે છે અને પરસેવા વાટે ઓછા થયેલા ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ પૂરી કરે છે. આયુર્વેદમાં પણ લીંબુનું વિશેષ મહત્વ છે. સવારે ખાલી પેટે 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી પાચનતંત્ર સક્રિય થાય છે અને શરીર આખો દિવસ તાજગી અનુભવે છે. આ ઉપરાંત, તેમાં રહેલું વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે.
ખાંડ ઉમેરવાથી શું નુકસાન થાય છે?
યુટોપિયનના એક રિપોર્ટ અનુસાર, લીંબુ પાણીમાં વધુ પડતી ખાંડ ઉમેરવાથી તેમાં રહેલી કેલરીનું પ્રમાણ અચાનક વધી જાય છે. જો તમે રોજ આવું ગળ્યું લીંબુ પાણી પીવો છો, તો વજન વધવાનું અને બ્લડ સુગર લેવલ બગડવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ જ કારણથી ડાયેટિશિયન અને હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા ખાંડ વગરનું અથવા સાવ ઓછી ખાંડવાળું લીંબુ પાણી પીવાની સલાહ આપે છે.
આ પણ વાંચોઃ દિવસમાં કેટલી ચા પીવી જોઈએ? જાણો ઉંમર પ્રમાણે માપ!
સંતરા (નારંગી)ના રસમાં પણ ખાંડ નાખવી હાનિકારક
માત્ર લીંબુ પાણી જ નહીં, નારંગીના રસમાં પણ ખાંડ ઉમેરવાનું ટાળવું જોઈએ. નારંગીમાં કુદરતી રીતે જ મીઠાશ હોય છે, તેથી તેમાં ઉપરથી ખાંડ નાખવાની જરાય જરૂર નથી. 1 ગ્લાસ તાજો અને ખાંડ વગરનો નારંગીનો રસ વિટામિન C નો ઉત્તમ સ્ત્રોત છે. ફિટનેસ પ્રત્યે સભાન લોકો હવે પેકેટવાળા જ્યુસને બદલે આવા ખાંડ વગરના કુદરતી પીણાં જ પસંદ કરી રહ્યા છે.
તો પછી સ્વાદ વધારવા શું કરવું?
જો તમારે લીંબુ પાણીનો સ્વાદ વધારવો જ હોય, તો તેમાં ખાંડને બદલે ફુદીનાના પાન, કાળું મીઠું, સિંધવ મીઠું અથવા શેકેલા જીરાનો પાઉડર ઉમેરો. આનાથી પીણાનો સ્વાદ પણ મસ્ત બનશે અને તેનું પોષણ મૂલ્ય પણ જળવાઈ રહેશે. તેથી, હવે પછી જ્યારે પણ તમે લીંબુ પાણી બનાવો, ત્યારે ખાંડનો ડબ્બો ખોલતા પહેલા 2 વાર જરૂર વિચારજો. તમારી આ 1 નાની આદત તમારા સ્વાસ્થ્ય પર મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય સંશોધનો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. કોઈપણ નવી શરૂઆત કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.)
આ પણ વાંચોઃ જમ્યાની કેટલી મિનિટ પછી પાણી પીવું જોઈએ?
