Foods To Avoid In Early Pregnancy: પ્રેગ્નન્સીની શરૂઆત થતાં જ મહિલાઓને ખાનપાનને લઈને અનેક પ્રકારની સલાહ આપવામાં આવે છે. આમાં સૌથી વધુ સાવચેત રહેવાનું જે બાબત માટે કહેવામાં આવે છે, તે છે પપૈયું અને અનાનસ. અવારનવાર ઘરના વડીલોથી લઈને ઘણા ડૉક્ટરો પણ પ્રારંભિક ગર્ભાવસ્થા (Early Pregnancy) માં આ બંને ફળોથી દૂર રહેવાની સલાહ આપે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આખરે એવું કેમ કહેવામાં આવે છે અને શું ખરેખર આ ફળો અણધાર્યા ગર્ભપાત (Miscarriage) નું કારણ બની શકે છે?
કેવા પપૈયાને ન ખાવું જોઈએ?
સૌથી પહેલા પપૈયાની વાત કરીએ તો, આ અંગે સૌથી વધુ ચિંતા કાચા અથવા અડધા પાકેલા પપૈયાને લઈને હોય છે. વાસ્તવમાં, કાચા પપૈયામાં 'લેટેક્સ' (Latex) અને 'પપૈન' (Papain) જેવા તત્વો વધુ માત્રામાં જોવા મળે છે. ગર્ભાવસ્થામાં આ તત્વોને જોખમી માનવામાં આવે છે, કારણ કે કેટલાક સંશોધનો અને લેબ સ્ટડીઝમાં આ તત્વો ગર્ભાશયને ઉત્તેજિત કરતા હોવાનું જાણવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે તે ગર્ભાશયમાં સંકોચન (Contraction) વધારી શકે છે અને આ જ કારણે પ્રારંભિક ગર્ભાવસ્થામાં કાચા પપૈયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આ જ કારણ છે કે અડધું પાકેલું કે લીલું પપૈયું સગર્ભા સ્ત્રીઓ માટે સુરક્ષિત માનવામાં આવતું નથી.
આ પણ વાંચો... યૂરિક એસિડ કંટ્રોલ કરવા માટે ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ, જાણી લો
શું પાકેલું પપૈયું ખાઈ શકાય?
હેલ્થ અંગે માહિતી આપતી વેબસાઇટ 'healthline' ના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ રીતે પાકેલું પપૈયું આનાથી અલગ હોય છે. પાકેલા પપૈયામાં લેટેક્સની માત્રા ઘણી ઓછી થઈ જાય છે અને તેમાં વિટામિન C, ફોલેટ, ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે. તેથી કેટલાક નિષ્ણાતો માને છે કે ઓછી માત્રામાં પાકેલું પપૈયું દરેક સગર્ભા સ્ત્રી માટે જોખમી નથી હોતું. તેમ છતાં, મનુષ્યો પર આ અંગે બહુ નક્કર સંશોધનો ઉપલબ્ધ ન હોવાને કારણે, મોટાભાગના કિસ્સાઓમાં ડૉક્ટરો સાવચેતી રાખવાની સલાહ આપે છે.
અનાનસ (પાઇનએપલ) કેટલું નુકસાનકારક?
હવે અનાનસની વાત કરીએ તો, આનાથી પણ ગર્ભપાત થવાનો ડર અવારનવાર સાંભળવા મળે છે. આનું કારણ 'બ્રોમેલીન' (Bromelain) નામનું એન્ઝાઇમ છે, જે અનાનસમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તે ગર્ભાશયના મુખને નરમ કરવાનું અને ગર્ભાશય પર અસર કરવાનું કામ કરી શકે છે. જો કે, સામાન્ય માત્રામાં અનાનસ ખાવાથી ગર્ભપાત થઈ જશે, તેવા કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા નથી. સમસ્યા ત્યારે માનવામાં આવે છે જ્યારે તેનો ખૂબ વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે અથવા સ્ત્રીનું શરીર કોઈ કારણસર પહેલાથી જ સંવેદનશીલ સ્થિતિમાં હોય.
આ જ કારણ છે કે પ્રારંભિક ગર્ભાવસ્થામાં પપૈયા અને અનાનસને લઈને બિલકુલ બેદરકારી ન રાખવી જોઈએ. ખાસ કરીને જો કોઈ મહિલાની પ્રેગ્નન્સી 'હાઈ રિસ્ક' હોય, ભૂતકાળમાં ગર્ભપાત થયો હોય, બ્લીડિંગની સમસ્યા હોય અથવા ડૉક્ટરે ખાનપાનમાં ખાસ સાવધાની રાખવાનું કહ્યું હોય, તો આ ફળો ખાતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
Disclaimer: આ માહિતી રિસર્ચ સ્ટડીઝ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહના વિકલ્પ તરીકે ન ગણવી. કોઈ પણ નવી પ્રવૃત્તિ કે વ્યાયામ અપનાવતા પહેલા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.
