સ્વ. કેતન પટેલની અંતિમયાત્રા શરૂ થઈ, હજારો પાટીદારો ઉમટ્યા, પોલીસના ખડકલાથી મહેસાણા લશ્કરી છાવણી બન્યું
પાટીદારોનાં સૂત્રોએ જણાવ્યું છે કે, પોલીસે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાને પગલે સંઘર્ષની શક્યતા નકારી શકાય તેમ ન હોઇ અંતિમયાત્રાનો નિર્ણય લેવાયો છે. આ અંતિમ યાત્રામાં કોઈ છમકલું ના થાય તે માટે જંગી પ્રમાણમાં પોલીસોનો ખડકલો કરી દેવાયો છે ને મહેસાણા લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે.
મહેસાણા સિવિલથી રવિવારે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળી છે. આ અંતિમયાત્રા રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા- સામેત્રા થઇને બલોલ પહોંચશે. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ નાજુક તબિયતને કારણે સીધા સ્મશાને પહોંચી પુત્રને અગ્નિ સંસ્કાર આપશે.
મહેસાણા: બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથમાં મૃતક સ્વ. કેતન પટેલની અંતિમયાત્રા શરૂ થઈ ગઈ છે અને મહેસાણાથી અંતિમયાત્રા બલોલ જવા રવાના થઈ છે. આ અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે. બીજી તરફ ફફડી ગયેલી સરકારે પોલીસોનો ખડકલો કરી દઈ મહેસાણાને લશ્કરી છાવણીમાં ફેરવી દીધું છે.
કેતનના પિતાને હાર્ટ એટેક આવતાં મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ કરાયા છે. એડ્વોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું કે, મહેન્દ્રભાઇની નાજુક તબિયત જોતાં શબયાત્રા કાઢવી હિતાવહ નથી. આથી શબયાત્રાનો કાર્યક્રમ રદ કરી અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા છે.
સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ પટેલની નાજુક તબિયતના કારણે મહેસાણાથી ગાંધીનગર રાજ્યપાલના બંગલે જનારી શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરાયો હતો. તેના બદલે રવિવારે સવારે સિવિલથી કેતનની અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો હોવાનું પાટીદાર અગ્રણી એડ્વોકેટ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું.
પાટીદારો દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે સ્વ. કેતન પટેલની શબયાત્રા કાઢવામાં આવશે અને સ્વ. કેતન પટેલના મૃતદેહને ગાંધીનગર લઈ જવાશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે સ્વ. કેતન પટેલના શબને મૂકી આવવાની જાહેરાત પાટીદારો દ્વારા કરાઈ હતી પણ સંજોગો બદલાતાં નિર્ણય બદલાયો છે.