મહેસાણાઃ સ્વ. કેતન પટેલ અપમૃત્યુ કેસમાં પાટીદારોની કઈ ચીમકીથી સરકાર ટેન્શનમાં આવી ગઈ ?
મહેસાણાઃ મહેસાણા પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવક કેતન પટેલના મૃત્યના મામલે ગજગ્રાહ ચાલુ છે અને કેતનના મૃતદેહ મુદ્દે દસના દિવસે પણ પાટીદાર સમાજ અને સરકાર સામસામે રહ્યા છે. પાટીદાર અગ્રણીઓ તથા કેતન પટેલના પરિવારજને આજે મૃતદેહને ગાંધીનગર લઈ જવાની ચીમકી આપતાં સરકાર ટેન્શનમાં આવી ગઈ છે.
ચિરાગ પરમાર, ભરત બ્રહ્મભટ્ટ તથા જીજ્ઞેશ બ્રહ્મભટ્ટને લઇ રિમાન્ડ માટે પોલીસ બુધવારે સવારે 9.15 કલાકે ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ બી.એ. જોષીના બંગલે પહોંચી હતી. જો કે જજે બંગલે નહીં, કોર્ટમાં આવવા કહ્યું હતું. તેથી પોલીસ કોર્ટમાં પહોંચી હતી જયાં ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
બીજી તરફ કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હત્યા, અપહરણ સહિતના ગુનાસર ધરપકડ કરાયેલા મહેસાણા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચિરાગ પરમાર, કેતન સામે ચોરીની ફરિયાદ નોંધાવનાર પાર્લર માલિક ભરત મણિલાલ બ્રહ્મભટ્ટ અને તેના પુત્ર જીજ્ઞેશ બ્રહ્મભટ્ટના 7 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે.
વહીવટી તંત્રે સિવિલમાં કોલ્ડરૂમ સામે પરિવાર સિવાય કોઈપણ હાજર ના રહે તેવી સૂચના આપતાં બાબુ માંગુકિયાએ જાહેર કર્યું હતું કે, સિવિલમાં શુક્રવારે સવારે પાટીદારોએ પહોંચી જવું અને માનો કે અંદર ન જવા દે તો મોઢા અને હાથ પર પટ્ટી બાંધી રોડ પર બેસી જવું. તેમણે જાહેરાત કરી હતી કે આમરણાંત ઉપવાસના કાર્યક્રમ પણ અપાશે.
સ્વ. કેતન પટેલના અપમૃત્યુના કેસમાં સીબીઆઇ માંગણીને મુદ્દે અડગ મૃતકના પિતા મહેન્દ્રભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે, મારા પુત્રનું એક હાડકું પણ હાથમાં આવશે તો ચાલશે, પરંતુ ન્યાય તો મેળવીને જ રહીશ. મહેન્દ્રભાઈએ આ પ્રકારની મક્કમતા બતાવતાં તંત્રે પાછી પાની કરવાનો વારો આવ્યો હતો.
મહેસાણા સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મુકાયેલો કેતનનો મૃતદેહ બગડી રહ્યો હોવાથી તેને ઉઠાવી લેવા બુધવારે જિલ્લા કલેકટર, એસપીએ મૃતકના પરિવારને સમજાવ્યા હતા પણ બાબુભાઈ માંગુકિયાના નેતૃત્વમાં પાટીદારોએ કહ્યું કે અમારી માગણી ન સ્વીકારાય તો મૃતદેહ નહીં સ્વીકારીએ અને મૃતદેહને 16મીએ ગાંધીનગર મૂકી આવીશું.