અમદાવાદઃ ગુજરાતમાં 2002ના ગુલબર્ગ હત્યાકાંડનો ચુકાદો આજે જાહેર થયો હતો. આ પૈકી કોર્ટે 24 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા જ્યારે 36 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા અતુલ વૈદ્યનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે  વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોમાં  ગુલબર્ગ સોસાયટી થયેલા હત્યાકાંડમાં 69 લોકોને જીવતા સળગાવી દીધા હતા.આ પૈકી કોર્ટે 36 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓમાં કોર્પોરેટર બિપિન પટેલનો પણ સમાવેશ થાય છે.  દોષિતોને 6, જૂનના રોજ સજા સંભળાવવામાં આવશે.


શું થયું હતું એ દિવસે?

28 ફેબ્રુઆરી, 2002એ મેઘાણીનગર સ્થિત ગુલબર્ગ સોસાયટીને હજારો લોકોનાં ટોળાંએ ઘેરી લીધી હતી. ગોધરા ટ્રેનકાંડને પગલે ગુસ્સે ભરાયેલા લોકો  તીક્ષ્ણ હથિયારો, સળગતા કાકડા અને જ્વલનશીલ પ્રવાહી લઈ સોસાયટીમાં ઘૂસ્યા હતા. ગુલબર્ગમાં રહેતા કૉંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 59 લોકોને ટોળાએ રહેંસી નાખી સળગાવી દીધા હતા. સોસાયટીના અનેક મકાનોને પણ આગ ચાંપી હતી. બાદમાં પોલીસ અને ફાયરબ્રિગેડે બચાવ્યા હતા. મામલે પોલીસે બનાવ સમયે 40 જેટલા લોકોની ધરપકડ કરી હતી. અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીની સુપ્રીમ કોર્ટમાં પિટિશન બાદ કેસની તપાસ સીટ રચાઈ હતી. તેમજ ખાસ ડેઝિગ્નેટેડ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનામાં જાફરી સહિત 69 લોકોના મોત થયા હતા. જેમાં 30 લોકોના શબ મળ્યા હતા, પરંતુ બાકી 30 લોકોના શબ મળ્યા નહોતા. જેમાં 7 વર્ષ પછી કાયદાકીય રીતે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં એક અઝહર પણ હતો. જે પારસી માતા-પિતા રૂપા અને દારા મોદીનો પુત્ર હતો. 28 ફેબ્રુઆરી 2002ના દિવસે એહસાન જાફરીની પત્ની જાકિયા જાફરી પણ ગુલબર્ગ સોસાયટીમાં હાજર હતી. પરંતુ જોત-જોતામાં તોફાનીઓએ તેમના પતિને મારી નાખ્યા હતા, જે 1977માં અમદાવાદના કોંગ્રેસના સાંસદ બન્યા હતા. ઘટના બાદ જાકિયા જાફરી અને રૂપા મોદીએ કોર્ટના દરવાજે ન્યાય માટે માંગણી કરી હતી. પરંતુ ન્યાય મળતા 14 વર્ષથી પણ વઘુ સમય વીતી ગયો હતો.

ગુલબર્ગ સોસાયટી કાંડની તપાસ પહેલા અમદાવાદ પોલીસે કરી હતી અને જૂન 2002થી ઓક્ટોમ્બર 2004ની વચ્ચે આ મામલે પાંચ સપ્લીમેંટ્રી સહિત કુલ 6 ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પરંતુ તે વખતે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગુજરાતના તોફાનોને લઈને નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.