ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે 140 કલાકથી ફસાયેલા 40 કામદારોને બચાવવા માટે એક નવી અને શક્તિશાળી અમેરિકન ઓગર મશીને શુક્રવારે 24 મીટર સુધી કાટમાળ ખોદીને 'એસ્કેપ ટનલ' ભેદી નખાઇ હતી પરંતુ ...


ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં ડઝનબંધ મજૂરો લગભગ 150 કલાકથી ફસાયેલા છે અને તેમને બચાવવા માટે મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે સાંજે અચાનક "કડકનો અવાજ" સંભળાયા બાદ અને ડ્રિલિંગ મશીનમાં પણ ખામી સર્જાયા બાદ બચાવ કામગીરી અટકી પડી હતી. બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું છે કે, વિમાન દ્વારા બીજી ભારે ડ્રીલ  દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે ફરી બચાવ કાર્ય શરૂ થશે.


 શુક્રવારે, અમેરિકન ઓગર મશીન અધવચ્ચે જ તૂટી જતાં બચાવ કામગીરીને મોટો આંચકો લાગ્યો હતો. મશીનના બેરિંગને નુકસાન થવાને કારણે તે આગળ વધી શક્યું ન હતું. લગભગ 25 મીટર સુધી ડ્રિલિંગ કર્યા પછી, મશીન નીચે કેટલીક ધાતુની વસ્તુ સાથે અથડાયું. આનાથી જોરદાર અવાજ આવ્યો.બપોરે 2:45 પછી બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવ્યું હતું.


ટનલનો એક ભાગ ધસી પડતાં રવિવારે સવારથી 40 કામદારો ફસાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ 40 કામદારો સુરક્ષિત છે અને તેમને ડ્રિલ્ડ સ્ટીલ પાઇપ દ્વારા ખોરાક અને પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. ફસાયેલા કામદારોના પરિવારો અકસ્માત સ્થળે પહોંચી ગયા છે જો કે સમય વધુ થઇ જતાં તેની ચિંતામાં વધારો થયો છે. હરિદ્વારથી આવેલા આ કામદારોમાંના એકના ભાઈએ કહ્યું, "કામદારોની તબિયત બગડે તે પહેલા તેમને ઝડપથી બચાવી લેવા જોઈએ. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ અમારી આશા ખોવાઈ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે તમામ લોકોને જલ્દીથી બહાર કાઢવામાં આવે.


 બચાવ અને રાહત માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા


ઝારખંડ સરકારની એક ટીમ તેના કામદારોની ખબર-અંતર પૂછવા માટે સ્થળ પર પહોંચી હતી. આઈએએસ અધિકારી ભુવનેશ પ્રતાપ સિંહની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ટીમે ઝારખંડના મજૂરો વિશ્વજીત અને સુબોધ સાથે પાઇપ દ્વારા વાત કરી અને તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતી વખતે, સિંહે કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા બચાવ અને રાહત પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, બચાવ કાર્ય માટે વહીવટી સ્તરે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.


ઉત્તરકાશીના ચીફ મેડિકલ ઓફિસર આરસીએસ પંવારે કહ્યું કે, સુરંગની નજીક એક અસ્થાયી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 10 એમ્બ્યુલન્સ સાથે ઘણી તબીબી ટીમો પણ સ્થળ પર તૈનાત છે. જેથી કામદારો જ્યારે બહાર આવે ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી શકાય. ચારધામ પ્રોજેક્ટ હેઠળ નિર્માણાધીન ટનલનો એક ભાગ સિલ્ક્યારાના મુખની અંદર 270 મીટરની અંદર રવિવારે સવારે તૂટી પડ્યો હતો, ત્યારબાદ તેમાં ફસાયેલા 40 કામદારોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન 150 કલાકાથી પણ વધુ સમય થઇ ચૂક્યો છે.