Supreme Court Collegium:સુપ્રીમ કોર્ટ કોલેજિયમે એડવોકેટ લક્ષ્મણ ચંદ્ર વિક્ટોરિયા ગૌરીને મદ્રાસ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આ અંગે વકીલોમાં મતભેદો હોવાથી બે ફાટા  પડી ગયા છે.


એડવોકેટ લક્ષ્મણ ચંદ્ર વિક્ટોરિયા ગૌરીને મદ્રાસ હાઈકોર્ટના જજ બનાવવાની કોલેજિયમની ભલામણનો વિરોધ કર્યા બાદ હવે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચના 58 વકીલોએ તેમના સમર્થનમાં સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો છે. પત્રમાં ગૌરીને જજ બનાવવાના મદ્રાસ હાઈકોર્ટના વકીલોના જૂથના વિરોધને ફગાવી દેવામાં આવ્યો છે.


58 વકીલોએ સુપ્રીમ કોર્ટને લખેલા તેમના પત્રમાં કહ્યું છે કે, ભારતના સહાયક સોલિસિટર જનરલ (મદુરાઈ બેંચ) તરીકે ગૌરીએ કાયદાના વિકાસમાં યોગદાન આપ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં પણ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ન્યાયાધીશો તરીકે હાઈકોર્ટના વકીલોની નિમણૂક કરવામાં આવી છે.


21 વકીલોએ વિરોધ કર્યો હતો


અગાઉ, મદ્રાસ હાઈકોર્ટના 21 વકીલોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને લક્ષ્મણ ચંદ્ર વિક્ટોરિયા ગૌરીની હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણવાળી ફાઈલ પરત મોકલવાની વિનંતી કરી હતી.


વકીલોએ લખ્યું હતું કે, વિક્ટોરિયા ગૌરીએ લઘુમતી સમુદાય વિશે દુર્ભાવનાપૂર્ણ ટિપ્પણી કરી હતી. વકીલોએ આરોપ મૂક્યો હતો કે આ ટિપ્પણીઓ ગૌરીના પ્રતિગામી મંતવ્યો અને ઊંડા મૂળ ધરાવતા ધાર્મિક કટ્ટરતાને પ્રતિબિંબિત કરે છે, જેણે તેણીને હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે અયોગ્ય બનાવી દીધી હતી.


જૂના ઇન્ટરવ્યુએ  મુશ્કેલી બની


વકીલોએ વિક્ટોરિયા ગૌરીના યુટ્યુબ ચેનલ પર આરએસએસને આપેલા ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો જેનું શીર્ષક હતું- 'રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ માટે સૌથી મોટો ખતરો શું છે? જેહાદ કે ક્રિશ્ચિયન મિશનરી?". આ ઇન્ટરવ્યુમાં તેને ખ્રિસ્તી ધર્મને 'વ્હાઈટ ટેરર' કહેતા સાંભળી શકાય છે. આ ઉપરાંત 'ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સાંસ્કૃતિક નરસંહાર નામના અન્ય એક વીડિયોમાં  લઘુમતીઓ પ્રત્યે તેમની દુર્ભાવના જોવા મળે છે.


કોણ છે વિક્ટોરિયા ગૌરી?


નિમણૂકનો વિરોધ કરતા લખેલા પત્રમાં વકીલોએ આરોપ લગાવ્યો છે કે, 2010ની બીજેપી પ્રેસ રિલીઝમાં વિક્ટોરિયા ગૌરીને મહિલા મોરચાના રાષ્ટ્રીય સચિવ તરીકે ઓળખ આપવામાં આવી  હતી. આ સાથે તેમનું એક ટ્વિટર એકાઉન્ટ પણ લિંક કરવામાં આવ્યું છે જે હવે નથી. જેમાં ગૌરીને બીજેપી કાર્યકર તરીકે દર્શાવવામાં આવી છે.


ગૌરીનું નામ એ 5 વકીલોમાં સામેલ છે જેમને મદ્રાસ હાઈકોર્ટના જજ બનાવવા માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ પર ઉપલબ્ધ ભાષણો અનુસાર, તે ભાજપની મહિલા પાંખની રાષ્ટ્રીય સચિવ રહી ચુકી છે. જો કે તે હાલમાં બીજેપી સાથે જોડાયેલ છે કે નહી તે અંગે કોઈ માહિતી નથી.