અમદાવાદઃ ગઈ કાલે રાત્રે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. ભૂકંપના કારણે ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક મકાનની છત તૂટી પડી છે. ત્યારે 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા પછી કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારમાં આફ્ટરશોક્સ વધ્યા છે. મોટા આંચકા બાદ 11 આફ્ટર શોક્સ આવ્યા હતા.


14મી જૂન  મધ્યરાત્રિથી 15 જૂન વહેલી સવાર ચાર વાગ્યા સુધીમાં જ લગભગ બે કલાકમાં  જ પાંચ આફ્ટર શોક્સ નોંધાયા હતા. પાંચમાંથી ત્રણ આફ્ટર શોક્સનું એપી સેન્ટર ભચાઉની  આસપાસ હતું. ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ અને પાટણના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. કચ્છના અંજારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.



કચ્છમાં આજે આવેલા ભૂકંપના બંને આંચકા વહેલી સવારે આવ્યા હતા, પણ રવિવારે રાત્રે આવેલા 5.3ની તીવ્રતાની સરખામણીમાં તેમની તીવ્રતા અત્યંત ઓછી હતી. સત્તાવાર રીતે મળેલી માહિતી પ્રમાણે સોમવારે વહેલી સવારે એક જ મીનીટના ગાળામાં બે આંચકા આવ્યા હતા. સોમવારે વહેલી સવારે 1.45 વાગ્યે પહેલો આંચકો અનુભવાયો હતો કે જે 1.7 ની તીવ્રતાનો હતો જ્યારે એક મિનિટ પછી એટલે કે સવારે 1.46 વાગ્યે બીજો આંચકો અનુભવાયો હતો કે જે 1.6 ની તીવ્રતાનો હતો.

રવિવારે રાત્રે અનુભવાયેલા ભૂકંપના આંચકાનું એપીસેન્ટર કચ્છના ભચાઉ પાસે વોંધ ગામ નજીક હતું. રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપે માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત પાટણ, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાતના ભાગોને પણ હચમચાવી દીધા હતા. આ ભૂકંપના આંચકા છેક અમદાવાદ અને વડોદરા સુધી પણ અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા.