અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉનના કારણે સ્કૂલો બંધ હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી માટે કડક ઉઘરાણી કરાઈ રહી છે. શાળા સંચાલકોના આ વલણ સામે પાટીદાર નેતા અને બિન અનામત વર્ગ સંકલન સમિતિના નેતા દિનેશ બાંભણીયા મેદાનમાં આવ્યા છે.


બિન અનામત વર્ગ સંકલન સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને દરેક સ્કૂલમાં પ્રથણ સત્રની ફી માફ કરવામાં આવે એવી માગણી કરી છે. બિન અનામત વર્ગ સંકલન સમિતિએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વાલીઓ પોતાનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નિરાશ થતાં ના જોવા મળે માટે કોરોનાના લીધે દરેક વર્ગનાં લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા દરેક સ્કૂલમાં પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે એવી રજૂઆત છે.

સમિતિએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતની ખાનગી સ્કૂલો ઓનલાઈન ભણતરના બહાના હેઠળ ફી વસૂલી રહી છે. તેમણે માગણ કરી છે કે, રાજ્ય સરકારે તાત્કાલિક કાયદેસરનો પરિપત્ર બહાર પાડીને સ્કૂલ દ્વારા ફી માટે દબાણ ના કરવામાં આવે એવી સૂચના આપવી જોઈએ. જે સ્કૂલ તેનો ભંગ કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને દરેક ખાવગી સ્કૂલને તેની જાણ કરવામાં આવે.