અમદાવાદઃ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 15મી મે સવારે છ વાગ્યા સુધી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો ખોલવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ સમય આવતી કાલે પૂરો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આવતી કાલથી આ તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ માટે અમુક નિયમોનું પાલન કરવાનું રહેશે.


એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતી કાલથી શાકભાજી, ફળ, દવા અને કરિયાણાના વેચાણનો પ્રારંભ થશે. અમદાવાદની સ્થિતિને આવતી કાલથી સામાન્ય કરવા માટે મહત્વનું પગલું ભરાયું છે. તેના માટે વિશાળ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. તેમજ જથ્થાનો પુરવઠો પણ પહોંચાડવામાં આવ્યો છે. 17 હજાર વિક્રેતાઓને હેલ્થ સ્ક્રિનિંગનું કામ ચાલુ છે અને આવતી કાલથી સવારે 8 વાગ્યાથી બપોરના 3 સુધી વેચાણ ચાલુ રહેશે.



અમદાવાદના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, સવારે 8થી 11 સુધીમાં માત્ર મહિલાઓ અને બાળકો જ ખરીદી કરવા જાય તેમજ પુખ્તવયના માણસો 11 વાગ્યા પછી જાય, જેથી આવી જગ્યાઓ પર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય. લોકોને અપીલ કરવામાં આવી છે કે, ઘરમાં બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં. કોરોના સામેની લડતમાં જાહેર શિસ્ત જરૂરી છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી સમજો. લોકોએ ખરીદી કરતી વખતે 2 ગજની દૂરી રાખવી જરૂરી છે. એટલું જ નહીં, માસ્ક પહેરવું આવશ્યક છે.

આ ઉપરાંત ઘરમાં આવ્યા પછી કપડા બદલી નાંખવાની, હાથ ધોઇ નાંખવાની અને ન્હાવાની પણ સલાહ રાજીવ ગુપ્તા દ્વારા આપવામાં આવી છે.