અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવરે એક જ દિવસમાં 26 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. જ્યારે 259 નવા દર્દીઓ જુદી-જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવવ્યા છે આ સાથે કુલ મૃત્યુઆંક 234નો પર પહોંચી ગયો છે. જ્યારે દર્દીઓની ગ્રામવિસ્તાર સહિતની સંખ્યા 4076ના આંકને આંબી ગઈ છે.


આજે મૃત્યુ થયેલાઓમાં 9 મહિલાઓ અને 17 પુરૂષ દર્દીઓનો સમાવેશ થાય છે. એસવીપીમાં 2 અને સિવિલમાં 24 મૃત્યુ નોંધાયા છે. લોકો ત્રણ તબક્કા સુધી લોકડાઉનમાં રહ્યા છતાં પણ દર્દીઓની સંખ્યા અને મૃત્યુમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સોમવારે 26 મૃત્યુમાં 14 તો એવા છે જેમને બીજી કોઈ જ શારીરિક તકલીફ કે રોગ નહતો. 11 દર્દીઓ 60 વર્ષથી નીચેના છે જેમાંથી 4 તો માત્ર 27, 36, 36અને 38 વર્ષના છે.

કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, આ એક અભૂતપૂર્વ મહામારી છે. સરળતાથી અટકવાની નથી, લડત લાંબી છે. લોકો લોકડાઉનનું, માસ્ક પહેરવાનું, વારંવાર હાથ ધોવાના નિયમનું પાલન કરે એ બાબત અત્યંત જરૂરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક (સોમવાર સાંજ સુધી)માં કોરોના વાયરસના 376 નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ 29 લોકોનાં મોત થયા છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 26 લોકોનાં મોત થયા છે, જ્યારે સુરતમાં-1, વડોદરા-2 મોત થયું છે.

રાજ્યમાં કુલ 5804 કોરોના કેસમાંથી 25 દર્દી વેન્ટિલેટર પર છે અને 4265 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1195 દર્દીઓ સાજા થયા છે.