અમદાવાદ: આજે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધતાં કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા જણાવ્યું કે, ગુજરાત રાજ્યની સરકાર પ્રદૂષણને ડામવામાં નિષ્ફળ રહી છે. લોકસભામાં પુછાયેલ સવાલના જવાબમાં કેન્દ્રના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવએ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓની વિગત આપી હતી. ગુજરાત રાજ્યમાં ૩૩,૪૮૬ રજિસ્ટર્ડ ફેક્ટરીઓ પૈકી ૪૬૦૫ ફેક્ટરી સરકારના પર્યાવરણના ધારા ધોરણને અનુસરતી નથી. 


ગુજરાત રાજ્યમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીના આંકડાઓમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. સમગ્ર દેશમાં ૨૮,૧૬૬ રજિસ્ટર્ડ ફેક્ટરી પર્યાવરણના ધારા ધોરણને અનુસરતી નથી. ગુજરાત રાજ્યમાં ૪ ફેક્ટરીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ૩૧૩ ફેક્ટરીને કલોસરના આદેશ આપવામાં આવ્યા છે. શું ખરેખર આ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી બંધ થઈ છે ખરી?  ૩૩૨૩ ફેક્ટરીને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ૯૬૫ ફેક્ટરી ઉપર હજી સુધી શું પગલાં લેવાશે તે બાબતે નિર્ણય નથી લઈ શક્યા.શું નોટિસથી પરિણામ મળશે ખરી? ૯૬૫ ફેક્ટરી ને 'એક્શન અંડર પ્રોસેસ ' ના નામે શું બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે?  શું આ તમામ ફેક્ટરી ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે? પ્રદૂષણના લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે. 


સરકાર પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી ઉપર રહેમ નજર કેમ રાખે છે?


ગુજરાતની સાબરમતી,ભાદર જેવી અનેક નદીઓ દેશની અતિ પ્રદુષિત નદીઓમાં આવે છે. હાઇકોર્ટે પ્રદૂષણ ઉપર ઘણી વાર ટકોર કરી છે. પ્રદૂષણ ફેલાવતી દરેક ફેક્ટરી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કડક પગલાં લઈ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. જે પ્રદૂષણ ફેલાવતા એકમો છે, જેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેમનો નિર્ણય સરકાર ત્વરિત એ લેવો જોઈએ તેવી માંગ કરીએ છીએ. ગુજરાતના જળ વાયુ જંગલ જમીનનું રક્ષણ કરવું આપણા સહુની જવાબદારી છે. સરકારની પર્યાવરણ પ્રત્યેની ઉદાસીનતા લોકસભાની વિગતથી ઉડીને આંખે વળગે તેવી છે. સરકાર પ્રદૂષણ ફેલાવતી ઉપર રહેમ નજર કેમ રાખે છે તે સવાલ ઊભો થાય છે. સરકારના પ્રદૂષણ બોર્ડ દ્વારા દાખલા રૂપ કાયદેસર કાર્યવાહી કરવાથી કોણ રોકી રહ્યું છે? પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પ્રદૂષણ ફેલાવતા એકમોમાં શું સાંઠગાંઠ છે? આમ કોંગ્રેસ પ્રવક્તાએ અનેક વેધક સવાલો સરકારને કર્યા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial