અમદાવાદ:વર્લ્ડકપની ગઇ કાલે 12મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. આ મહામુકાબલાને નિહાળવા માટે મોટી સંખ્યામા ક્રિકેટ રસિયા સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા. જો કે ગરમી અને બફારાને કારણે ઇમરજન્સીના 568 કેસ નોંધાયા છે. 10થી વધુ લોકો ચક્કર અને ગભરામણના કારણે સ્ટેડિયમમાં ઢળી પડતાં તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. કેટલાક લોકોમાં ડિહાઇડ્રેશનની પણ ફરિયાદ જોવા મળી હતી.  મહત્તમ કિસ્સા ડીહાઇડ્રેશન અને ચક્કર આવવાના નોંધાયા હતા. તો કેટલાક દર્શકો સ્ટેડિયમમાં પડી જવાથી ઈજા થવાના કેસ પણ નોંધાયા છે. 108 દ્વારા અને સ્ટેડિયમમાં ઊભી કરાયેલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર અપાઈ હતી. 8 જેટલી અમ્બ્યુલન્સ પણ ઇમરન્જસી સેવા માટે સ્ટેડિયમમાં રખાઇ હતી.


મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, રોહિત-શ્રેયસની અડધી સદી


વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 20મીએ બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડકપની આ મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી શાનદાર જીત મળી છે. 


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.


બેટિંગ ફ્રેન્ડલી પિચ પર ભારતીય બોલરોએ જોરદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને માત્ર 191 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.  રોહિતે પાકિસ્તાની બોલરોને ફટકાર્યા હતા. હિટમેને માત્ર 63 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે  તે સદી ચૂકી ગયો હતો. આ દરમિયાન ભારતીય કેપ્ટને 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. 2023 વર્લ્ડ કપમાં ભારતનો આ સતત ત્રીજો વિજય છે.


આ અગાઉ શુભમન ગિલ અને રોહિત શર્માએ પાકિસ્તાન તરફથી મળેલા 192 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ભારતીય ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. ગિલ 11 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને આઉટ થયો હતો. શાહીન આફ્રિદીએ તેને પેવેલિયન મોકલ્યો હતો. આ પછી કિંગ કોહલી અને રોહિત શર્માએ પાકિસ્તાની બોલરો સામે ફટકાબાજી  શરૂ કરી હતી. જોકે  કોહલી ત્રણ ચોગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો.


શુભમન ગિલ અને કોહલી આઉટ થયા પછી પણ રોહિતે પોતાની આક્રમક ઈનિંગ રમવાનું  ચાલુ રાખ્યું અને મેદાનની ચારે બાજુ મોટા શોટ રમ્યા. આ દરમિયાન રોહિતે વનડેમાં 300 સિક્સર પણ પૂરી કરી હતી. જોકે, ભારતીય કેપ્ટન સદી ફટકારી શક્યો નહોતો. શાહીન આફ્રિદીએ રોહિતને 86ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ દરમિયાન હિટમેને 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. અંતે શ્રેયસ અય્યર 62 બોલમાં 53 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. અય્યરે પોતાની અડધી સદીની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે કેએલ રાહુલ 19 રન બનાવીને અણનમ રહ્યો હતો.