અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરખેજમાં 7 ઈંચ, ચાંદખેડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પણ સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

અમદાવાદમાં શુક્રવારે રાતે 7 વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે ભારે પવન ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. સાઉથ બોપલમાં આવેલા ક્લબ O7 રોડ પર સ્થિત નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધસી પડતા 4 લોકો દટાયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે સારવાર દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં હતાં.

રાતભરના વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું ગયું છે. ખોખરાથી હાટકેશ્વર, સી.ટી.એમ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મણિનગર ગોરના કુવા વિસ્તારમાં પાણી ભરાયા છે. અમરાઈવાડી મેટ્રો રેલની પાસે જનતાનગર, ગાયત્રીનગર, રાજપુર પોસ્ટ ઓફિસ પાસે તેમજ જોગણી માતાના મંદિર પાસે પાણી ભરાયા છે. વટવા પુનિતનગર રેલવે ફાટક, ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા, મિલ્લતનગર વિસ્તાર ઈશનપુર રોડ, મણિનગર જવાહરચોક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.

અમદાવાદમાં 4 અન્ડરપાસને સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અને પરિમલ ગાર્ડન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજના 6 ગેટ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને તેમાંથી 6000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.