અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આદે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.  "સિંહગર્જના" ડી-લિસ્ટીંગ મહારેલીનું આયોજન આજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે.


સામે આવેલી વિગતો અનુસાર ગુજરાતમાંથી લગભગ એક લાખ જનજાતિ સમુદાયના લોકો આ રેલીમાં ભાગ લેશે. આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ જગન્નાથ મંદિર દર્શન કરી રેલીની શરૂઆત કરાવશે. આદિવાસીમાંથી ઈસાઈ, મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારને લાભો ન આપવાની માગ કરવામાં આવી રહી છે. ધર્માતરણ બાદ અનુસૂચિત જનજાતિના લાભો ન આપવાનો કાયદો બનાવવાની પણ માગ કરવામાં આવી છે.


ધર્માતરિત વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢવા બંધારણીય રાહે પગલા લેવાની માગ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યભરમાંથી આદિવાસીઓ પહોંચી રહ્યાં છે. NID બ્રિજ, દધીચી બ્રિજ અને રાણીપથી રેલી સ્વરૂપે આદિવાસી લોકો સભા સ્થળે પહોંચશે. મહારેલી બાદ સભા સ્થળે હજારો આદિવાસીઓને સંબોધન કરાશે. સાબરમતી રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ પર વિશાળ મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંગ્રેજોના સમયથી આદિવાસી સમાજને છેતરીને ધર્મ પરિવર્તન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.


સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ


રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે,  આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.


તો આ મામલે મેડિકલ ઓફિસર એ.વી.રામાણીનું નિવેદન સામે આવ્યું છે. સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આપતા નહિ. સ્ટેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગાને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.


તો બીજી તરફ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને રાજકારણ ગરમાયું છે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. મહેશ રાજપૂતે કહ્યું કે,  આવતા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવી હશે. તો આ મામલે મેડિકલ અધિકારીએ કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ કલરનું જ સ્ટેચર હોય છે. સ્ટેચ્યર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો.