અમદાવાદઃ મંગળવારે લંડનથી આવેલી ફલાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળ્યા છે. અમદાવાદના બે મુસાફરોને SVP હોસ્પિટલના ઓમીક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. શુક્રવાર સુધીમાં પરિણામ આવવાની શક્યતાઓ છે. SVPમાં ઓમીક્રોનના બે અને સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો એક દર્દી દાખલ છે.


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 87  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 73  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,010  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,16,650 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 33, સુરત  કોર્પોરેશન 12, વડોદરા  કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, ખેડા 5, વલસાડ 5, નવસારી 4, આણંદ 3,  ગાંધીનગર કોર્પોરેશનમાં 2, કચ્છ 2, ભરુચ 1, જામનગર કોર્પોરેશન 1,  મહેસાણામાં 1, રાજકોટ 1  નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 589  કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 581 નાગરિકો સ્ટેબલ છે. 8,17,010  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10104 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વલસાડમાં 1 મોત થયું છે. 



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 512 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6271 લોકોને પ્રથમ અને 50455 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20991 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138415 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,16,650 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,75,01,402 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.