અમદાવાદઃ શહેર ક્રાઈમ બ્રાન્ચે સિરિયલ કિલરની ધરપકડ કરી છે. છેલ્લા દોઢ વર્ષથી હત્યા , લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના હેબતપુર વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.


આરોપીનું નામ રાજા ઉર્ફે કેવટ છે. રાજાની ઉંમર માત્ર 20 વર્ષ છે, પરંતુ નાની ઉંમરમાં ચોરી અને લૂંટ  જેવી ક્રિમીનલ પ્રવુતિઓની લત પર લાગી ગયો હતો. આરોપી  મૂળ બિહારનાનો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં રહીને લૂંટ , હત્યા અને ચોરી જેવી ક્રિમીનલ પ્રવતિઓને અંજામ આપતો હતો. જોકે આરોપીની આ ક્રિમિનલ પ્રવૃત્તિઓ લાંબી ન ચાલી અને અંતે પોલીસની પકડમાં આવી ગયો છે. 


આરોપીની ગુનાહિત ઈતિહાસની જો વાત કરીએ તો આરોપી રાજા સામે 2018માં વસ્ત્રાપુર વિસ્તારમાં રાહદારી પર સ્ટેબિંગ કરી હત્યા જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે. ફેબ્રુઆરી 2020માં એસપી રિંગ રોડ પર એક રાહદારીની લૂંટના ઇરાદે હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં સોલા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી સામે માત્ર અમદાવાદ અને ગુજરાતમાં જ નહિ પરંતુ રાજસ્થાનમાં પણ  ગુનો દાખલ થયેલો છે.


હાલ તો ક્રાઈમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કરી સોલા પોલીસને સોંપ્યો છે. હવે સોલા પોલીસ ની તપાસ બાદ વધુ વધુ ખુલાસા સામે આવશે.


અન્ય એક ઘટનાની વાત કરીએ તો, જાન્યુઆરી 2020માં સાણંદની કેનાલમાંથી મળી આવેલી યુવતીની હત્યા કરાયેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. હવે સાણંદ કેનાલમાંથી લાશ મળવાના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં યુવતીની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. 


આ અંગેની વિગતો એવી છે કે, મૃતક મહિલાને એક પરણીત યુવક સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમસંબંધ આગળ વધતા યુવતીએ પત્નીને છોડીને પોતાની સાથે રહેવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમિકાથી કંટાળીને યુવકે તેની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જાન્યુઆરી 2020માં યુવકે પોતાની પત્ની સાથે મળીને મહિલાને હાથ-પગ બાંધીને કેનાલમાં ફેંકી દીધી હતી. જેને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસને સફળતા મળી છે તેમજ હત્યારા પતિ-પત્ની ધરપકડ કરીને સમગ્ર હત્યા કેસ ઉકેલી નાંખ્યો છે. 


અન્ય એક ઘટનાની વાત કરીએ તો, ગત 10મી સપ્ટેમ્બરે શહેરના દધીચી બ્રિજ પરથી કૂદીને યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ યુવકના આપઘાતના કેસમાં સૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, પિતા એ સપનામાં આવી ને કહ્યું કે "તારા કારણે મારુ મોત થયું". હું પિતાની માફી માંગવા તેમની પાસે જાઉં છું,  તેમ લખી આપઘાત કર્યો હતો. મૃત યુવક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં હકીકત બહાર આવી છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 


આ અંગેની વધુ વિગતો એવી છે કે, ગત 10મી સપ્ટેમ્બરે 33 વર્ષીય રજનીકાંત પરમાર નામના યુવકે પુલ પરથી કૂદકો તો લગાવ્યો હતો પણ તંત્રએ સુરક્ષા માટે ગોઠવેલી જાળીમાં તે ફસાઈ લટકી ગયો હતો. જોકે, આ પછી હાથ લપસતા યુવક મોતને ભેટ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ જે તે સમયે સામે આવ્યો હતો. 









પોલીસને તપાસ દરમિયાન ચોપડાના પેજમાં પેનથી લખેલી એક નોટી મળી આવી હતી. જેમાં ભાઈ સોરી લખેલું હતું. આ પછી લખ્યું હતું કે, નયનભાઈ મને માફ કરજો. તમને એકલા મુકીને જાઉ છું, પણ શું કરું પપ્પાની બોવ યાદ આવ છે. પપ્પાએ મને જ્યારે આવીને કીધું કે મારા કારણે એમનું મોત થયું છે, ત્યારનો પરેશાન છું. ખરેખર મેં માતાજીની કોઈ ભુલ કરી દીધી છે, જેના લીધા આવુ થયું અને હું આ બોજ લઈ જીંદગી નઈ જીવી શકુ કે પપ્પાનું મોત મારા કારણે થયું છે. મગજ કામ કરતું નથી. ગાંડો થઈ જઇશ તો તમારે ઉપાધી આવી જશે અને તમારો આભાર મને ચાર મહિનાથી સાચવો છો અને મારું વેઠો છો છતા મને કંઈ બોલતા નથી. કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજે.