અમદાવાદઃ કોરોનાની ત્રીજી લહેર બાદ ફરીથી અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID (નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન) કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. 


પાલડીમાં આવેલા NID કેમ્પસમાં થયેલા કોરોના ટેસ્ટિંગમાં 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.


અમદાવાદ: મણિનગર ડી સ્ટાફના પોલીસકર્મીઓ પર લાખોનો તોડ કર્યાનો મધના વેપારીએ લગાવ્યો આરોપ


અમદાવાદઃ શહેરની પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવાનો મામલે સામે આવ્યો છે. શહેરમાં મધનો વેપાર કરતા એક વેપારીએ મણિનગર ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પર તોડ કર્યા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. શ્રીજી મધના વેપારીએ આ સમગ્ર મામલે પોલીસ કમિશનર, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરેલી અરજી પણ કરી છે.


CCTV ફુટેજ પોલીસકર્મીઓએ ડિલીટ કર્યાઃ
શ્રીજી મધના વેપારી ગૌરાંગ પટેલે એબીપી અસ્મિતા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, "પીયુષ અને કુલદીપ નામના બે પોલીસકર્મચારીઓ અમારા ઘરમાં ઘુસ્યા હતા ઘરમાં દારુની તપાસ કરવા આવ્યા હોવાનું કહ્યું હતું. આ પોલીસકર્મીઓએ અમારી સાથે બુટલેગરની જેમ વર્તાવ કર્યો હતો. આ સાથે ઘરમાં દારુને તપાસ કરવાના ઢોંગ સાથે શોધખોળ કરી હતી અને દારુનો ધંધો કરવાનો આરોપ અમારા પર લગાવ્યો હતો. અમે તેમને ઘરમાં શોધખોળ કરતાં રોકવા જતાં ઘરમાં મહિલાઓ સામે અપશબ્દો કહ્યા હતા અને પછી અમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ દરમિયાન અમારા ઘરના સીસીટીવીનું ડીવીઆર પણ પોલીસકર્મચારીઓ તેમની સાથે લઈ ગયા હતા અને તમામ ફુટેજ ડિલીટે કરી દીધું હતું."