અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ થતાં આવતીકાલથી AMTS અને BRTS સેવા પણ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં આગામી સૂચના ન અપાય ત્યાં સુધી AMTS અને BRTS ની બસ સેવા બંધ રહેશે.  જેના પગલે બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 


આ પહેલા કોર્પોરેશ દ્વારા  બાગ-બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય આવતીકાલથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છેય પહેલા રાત્રિ કર્ફ્યૂમાં વધારો. હવે બાગ-બગીચા બંધ. પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


રાજ્યમાં કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગર પાલિકામાં નાઈટ કર્ફ્યુનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. તો કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. .અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝુ પણ બંધ કરવામાં આવ્યા..તો કોર્પોરેશનના 273 બગીચા ગુરુવારથી બંધ કરી દેવાશે. જેથી હવે મોર્નિંગ વૉક કરનારાઓ હેરાન થશે. 



અમદાવાદમાં વધી રહેલા કેસોને લઈ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલમાં 500 બેડ ઇમર્જન્સીના તૈયાર કરવામાં આવ્યાં છે. જરૂર પડે વધુ બેડ શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. અત્યારે 91 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તેમાંથી 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે..


ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આજે 264 નવા કેસ નોંધાયા હતા અને એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું. શહેરમાં કોરોના સંક્રણમમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેના પગલે પ્રશાસન પણ સતર્ક બન્યું છે.  


 


રાજ્યમાં ફરી કોરોના વાયરસ વકર્યો છે. છેલ્લા 24 કલાકમાં 1122 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. આજે 775  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,71,433 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.54 ટકા પર પહોંચ્યો છે. હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 લોકો વેન્ટિલેટર પર અને 5249 લોકો સ્ટેબલ છે.