અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રા દરમિયાન દૂર્ઘટના સર્જાઈ હતી. મળતી જાણકારી અનુસાર,  ભગવાન જગન્નાથના રથ નિજ મંદિર પહોંચે તે અગાઉ એક મકાનની ગેલેરી તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયુ હતુ જ્યારે 31 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Ahmedabad: અમદાવાદ રથયાત્રામાં થયેલ દુર્ઘટના મામલે CMએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતક અને ઇજાગ્રસ્ત માટે સહાયની કરી જાહેરાત


રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની દૂર્ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુર્ઘટનામાં સરકારે સહાયની જાહેરાત કરી હતી. ઘટનામાં મૃતકના પરિવારજનને ચાર લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની સરકારે જાહેરાત કરી હતી. અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો.તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 2 ગાડી સાથે ટીમ સ્થળ પર પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં  આવ્યા હતા. 






ઉલ્લેખનીય છે કે ત્રણ માળના જર્જરિત મકાનની બંન્ને ગેલેરીમાં દર્શનાર્થીઓ ઉભા રહીને રથયાત્રા જોઇ રહ્યા હતા. દરમિયાન સૌથી ઉપરના માળની ગેલેરી તૂટી પડતા ગેલેરીમાં ઉભા તમામ લોકો નીચે પટકાયા હતા. એટલુ જ નહી ગેલેરી તૂટી પડતા તેની નીચે ઉભેલા લોકો પણ કાટમાળ પડ્યો હતો. કેટલાક લોકો કાટમાળની નીચે દબાઇ જતા સ્થાનિકો અને પોલીસે તરત જ તેમની મદદ કરી હતી અને તમામ લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. દુર્ઘટનામાં કુલ 31 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોમાં મોટાભાગના લોકોને ફ્રેક્ચર અને કરોડરજ્જુમાં ઈજા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને  મૃતકના પરિવારજનને 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને   વાજતે ગાજતે ભગવાનના રથ નીજ મંદિરમાં પરત ફર્યા હતા. 18 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.


રથયાત્રામાં હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 3D મેપિંગ અને ડ્રોન સર્વેલન્સ સાથે રથયાત્રા નીકળી હતી.  દરેક સ્થળ અને જગ્યા પરથી પોલીસ દ્વારા સતત રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી હતી. ભગવાનના ત્રણેય રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાયા હતા.