કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતાં એન્ટીજન ટેસ્ટ માટે AMCએ ઉભા કરેલા ડોમ હટાવવામાં આવ્યા છે. AMCની મુખ્ય ઓફિસના પ્રાંગણમાં લગાવાયેલો ડોમ પણ હટાવી લેવામાં આવ્યો છે.


કોરોનાના એન્ટીજન ટેસ્ટ માટે AMC ઓફિસ સહિત શહેરમાં વિવિધ જગ્યાએ ડોમ ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. સાથે જ ખાનગી અને સરકારી હૉસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરેલ ડોમ હટાવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 285 નવા કોરોનાના કેસ નોંધાયા હતા જ્યારે 302 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણના કારણે બે મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને અમદાવાદમાં 1 મળી કુલ 2 લોકોના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4399 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 1781 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1751 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4399 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 302 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,58,270 પર પહોંચી છે.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં અત્યાર સુધી 7,41,788 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 27,657 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.