અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો કાબૂમાં આવી ગયા છે. બે દિવસ સુધી કોરોનાના કેસો 3 હજારની અંદર રહ્યા પછી ગઈ કાલે ફરીથી આ કેસો 3 હજારને પાર થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં નવા 143 કેસો નોંધાતા હાલ, શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો 3021 થઈ ગયા છે.


નોંધનીય છે કે, પહેલી ઓગસ્ટના દિવસે કોરોનાના કુલ એક્ટિવ કેસો 2979 હતા. જ્યારે બીજી ઓગસ્ટે 143 કેસો નોંધાયા હતા. જેની સામે 99 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ બે વ્યક્તિના કોરોનાથી મોત થયા હતા. સ્વસ્થ થયેલા લોકો અને મૃત્યુઆંક બાદ કરતાં ગઈ કાલે સાંજ સુધી અમદાવાદ શહેરમાં કુલ એક્ટિવ કેસો 3021 થઈ જાય છે.

અમદાવાદ શહેરમાં મૃત્યુઆંક પણ કંટ્રોલમાં આવી ગયો છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી 1562 લોકોના મોત થયા છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કોરોનાના 3523 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 21,692 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં કુલ 1603 લોકોના મોત થયા છે.