અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પીક પકડી છે અને દૈનિક કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે, એમાં પણ સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં છે. વધતાં કોરોનાના કેસોને પગલે શહેરમાં કોરોનાના ટેસ્ટમાં આજથી વધારો કરાશે. એક દિવસમાં 15 હજાર ટેસ્ટિંગ ઉપર ભાર મુકાશે. બંધ કરેલા ડોમ AMC દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યા છે. 


વસ્ત્રાપુર તળાવ, ફલાયઓવર બ્રિજ, AMTS અને BRTS ટર્મિનસ ઉપર ડોમ ઉભા કરાયા છે. નવા પશ્ચિમઝોનમાં જ 12 નવા ડોમ ઉભા કરવામાં આવ્યા છે. સીએમ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ AMC દ્વારા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને કન્ટેનમેન્ટ ઝોનની સ્થિતિ ઉપર નજર રખાશે. ડોમની અંદર વેક્સીન માટેની વ્યવસ્થા અને એન્ટીજન ટેસ્ટ માટેની પણ વ્યવસ્થા શરૂ કરાશે. 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના  કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 573 કેસ  નોંધાયા છે.   બીજી તરફ 102  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,589  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે  મોત થયું છે.  આજે 2,32,392  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 269, સુરત કોર્પોરેશનમાં 74,  વડોદરા   કોર્પોરેશનમાં 41 , રાજકોટ 18, ગાંધીનગર કોર્પોરેશન 16, કચ્છ 16, વલસાડ 15, આણંદ 14, ભાવનગર કોર્પોરેશન 10, રાજકોટ કોર્પોરેશન 10, અમદાવાદ 9, મહીસાગર 9, વડોદરા 9, ભરુચ 8, ખેડા 8, નવસારી 8, જામનગર કોર્પોરેશન 7, અમરેલી 5, મહેસાણા 5, પંચમહાલ 4, સુરત 4, ગાંધીનગર 3, મોરબી 3, જૂનાગઢ 2, સાબરકાંઠા 2, દેવભૂમિ દ્વારકા 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 1 નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 2371  કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 2360 નાગરિકો સ્ટેબલ છે. 8,18,589 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજકોટ કોર્પોરેશનમાં 1, અરવલ્લી 1 મોત થયું છે.







બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 597 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 7961 લોકોને પ્રથમ અને 49341 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 29797 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 144689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,32,392 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,92,47,220 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

 

અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, જામનગર, નર્મદા, પાટણ, પોરબંદર અને તાપીમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.