Ahmedabad News: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.


થોડા દિવસ પહેલા તથ્યએ કોર્ટમાં અરજી કરી શું કરી હતી માંગ ?


શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી  હતી. જેમાં તેણે જેલમાં પોતાના ભણતરની વ્યવસ્થા કરવા અને ઘરનું ભોજન આપવાની માંગ કરી હતી.  


તથ્ય પટેલની આંખનો શું આવ્યો રિપોર્ટ


તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ પાસા અંગે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તથ્ય પટેલની આંખોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.




તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધરાતે સર્જાયેલા અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ આ કેસમાં કારચાલક તથ્યનો આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 9 લોકોના મોતના આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


આ પણ વાંચોઃ


બોગસ ભાડા રસીદના આધારે કરકપાતનો લાભ લેતા હો તો થઈ જાવ સાવધાન, ભરવો પડી શકે છે તોતિંગ દંડ