અમદાવાદઃ અમદાવાદમાં 143મી રથયાત્રા નહીં નીકળી શકવાને લઈને હવે મોટા વિવાદના એંધાણ દેખાઈ રહ્યા છે. અષાઢી બીજની રથયાત્રા અમદાવાદ જગન્નાથ મંદિરમાં મંદિર પરિસરમાં જ ભગવાનના રથનું પરિભ્રમણથી સંપન્ન થઈ. આજે પરંપરા પ્રમાણે ભગવાનની મૂર્તિનું પુનઃ મંદિરમાં સ્થાપન થયું. જો કે ભગવાનના રથ મંદિર બહાર ન નિકળી શક્યા હોવાનો મંદિરના મહંત દિલીપ દાસજીને ભારે વસવસો છે. રથયાત્રાની મંજૂરી મુદ્દે જેના પર વિશ્વાસ મુક્યો તેમણે દગો કર્યો હોવાનો દિલીપદાસજીએ ગંભીર આરોપ લગાવ્યો છે.


કોરોનાના કપરાકાળમાં સંક્રમણની આશંકાને લઈ રજૂ કરાયેલી અરજીને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવી હતી. જો કે, રથયાત્રાની આગલી સાંજે સરકારે રથયાત્રાને શરતી મંજૂરી આપવાનો પત્ર હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. હાઈકોર્ટે પૂરી સુનાવણી પણ કરી અને ત્યાર બાદ એ અરજીઓને રદ કરી, જેમાં રથયાત્રાની મંજૂરી મંગાઈ હતી.

કોર્ટનો જનહિતમાં લેવાયેલા આદેશ પ્રમાણે કાર્રવાઈ પણ થઈ. જો કે, આજે મહંત દિલીપ દાસજીએ નામ લીધા વિના એક વ્યક્તિએ ભરોસો તોડ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. વારંવાર પૂછવા છતા પણ દિલીપદાસજીએ એ વ્યક્તિનું નામ ન લીધું ત્યારે ચર્ચા એ વાતની છે કે કોણે તોડ્યો મહંતનો ભરોસો? શું કોઈ વ્યક્તિએ રથયાત્રાની મંજૂરી માટે મહંતને આપ્યો હતો ભરોસો? સવાલ અનેક છે પરંતુ મહંત જ્યાં સુધી નામ સ્પષ્ટ ન કરે ત્યાં સુધી તેનો જવાબ કોઈની પાસે નથી.