અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિપક્ષના નેતાપદેથી દિનેશ શર્માએ રાજીનામું આપતાં કોંગ્રેસે કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા તૌફિકખાન પઠાણની હાલ કાર્યકારી નેતા તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂક સાથે જ તૌફિકખાને ચાર્જ સંભાળી લીધો છે પણ તેમની નિમણૂકના કારણે કોંગ્રેસમાં ફરી જોરદાર ઝગડો શરૂ થયો છે.


લઘુમતી સમાજના નેતાને નેતાપદ અપાતાં અન્ય જ્ઞાતિના કોર્પોરેટરો નારાજ છે. કોંગ્રેસ પક્ષ હાલમાં લઘુમતી, દલિત અને અન્ય એમ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો છે. આ પૈકી લઘુમતી સમાજના 18 અને દલિત સમાજના કોર્પોરેટરોની સંખ્યા 11 છે જ્યારે બક્ષીપંચ સવર્ણ અને હિન્દીભાષી કોર્પોરેટરોની કુલ સંખ્યા 18 છે. લઘુમતી સમાજ એ રીતે બહુમતીમાં છે પણ અન્ય જ્ઞાતિના કોર્પોરેટરો પોતાને અન્યાય થયાની રજૂઆત કરી રહ્યા છે. સામે લઘુમતી સમાજના કોર્પોરેટરો તૌફિક ખાનને  કાર્યકારી નહીં પરંતુ કાયમી નેતા બનાવવાની માગણી કરી રહ્યા છે તેના કારણે ઝગડો જામ્યો છે. દલિત સમાજના કોર્પોરેટરો દલિત સભ્યને નેતાપદ આપવા જૂની માગણી દોહરાવી રહ્યા છે.

(બદરુદીન શેખ સાથે તૌફીકખાન પઠાણની ફાઇલ તસવીર)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના 2015ની ચૂંટણીમાં કોંગ્રેસના 49 કોર્પોરેટરો ચૂંટાયા હતા. અપક્ષ સભ્ય  ખેડાવાલા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના કોર્પોરેટરોની કુલ સંખ્યા 50 થઈ હતી પણ  કોંગ્રેસના બે કોર્પોરેટરો ગીતાબહેન પટેલ અને અતુલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડતા સંખ્યા ઘટીને 48 થઈ હતી.  એપ્રિલમાં સિનિયર કોર્પોરેટર બદરુદ્દીન શેખનું અવસાન થતા હવે પક્ષની કુલ સંખ્યા 47 છે.