અમદાવાદઃ શહેરના પ્રથમ નાગરિક મેયર બીજલ પટેલના અટેન્ડન્ટનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેનામાં બે દિવસથી લક્ષણ જણાતાં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે મેયર બીજલ પટેલે પણ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.


અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 154 લોકો કોરોનામાં પટકાયા હતા અને 150 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. શહેરમાં બે લોકોના આજે કોરોનાથી મોત થયા હતા.

રાજ્યમાં કોવિડ-19ના નવા 954 નવા કેસ નોંધાયા હતા. નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3734 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે, જ્યારે 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,390 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,75,633 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.