Ahmedabad: અમદાવાદીઓ માટે એક ખાસ ખબર સામે આવી છે, બહુ જલદી અમદાવાદ શહેરના રસ્તાંઓ પર એએમટીએસની નવી સીએનજી બસો દોડતી દેખાશે. મળતી માહિતી અનુસાર, હવે ટુંક સમયમાં AMTS કમિટીની બેઠક મળવાની છે, આ બેઠક બાદ શહેરમાં 200 નવી સીએનજી બસો દોડશે, શહેરમાં અલગ અલગ એજન્સીઓ પાસેથી સીએનજી બસો માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. AMCએ અલગ અલગ એજન્સીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા, આમાં કુલ 6 એજન્સીઓ દ્વારા ટેન્ડર ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, આ સમગ્ર પ્રક્રિયા બાદ AMC અંતર્ગત આવતી AMTS કમિટી દ્વારા 200 નવી CNG બસો ખરીદી કરાશે. આ ઉપરાંત શ્રાવણ માસમાં પણ AMTSની સુવિધા માટે કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય અંતર્ગત શહેરના નાગરિકો માટે શ્રાવણ અને અધિક મહિના માટેની સંયુક્ત યોજના ચાલુ કરવામાં આવી છે, જેમાં 2400 રૂપિયામાં 40 મુસાફરોને શહેરના તમામ મંદિરોમાં દર્શનાર્થે લઈ જવામાં આવશે.


અમદાવાદીઓને રખડતા ઢોરના ત્રાસથી મળશે મુક્તિ


શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જો કે, હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે રખડતા ઢોર અંગે પોલિસી બનાવી હતી પરંતુ વિરોધના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ABP અસ્મિતા પાસે સચોટ માહિતી આવી છે. જે મુજબ અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર નિયંત્રણ પોલિસીના અમલ અંગે નિર્ણય લેવામાં આવ્યો. ભાવમાં સુધારા વધારા સાથે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે.  આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર અંગે પોલિસીની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત જે માહિતી સામે આવી છે તે પ્રમાણે હવે વ્યક્તિગત પશુ ધરાવનાર માલિકોએ પણ ઢોરની નોંધણી કરાવવાની રહેશે. વ્યવસાયિક ઉદ્દેશ માટે રાખવામાં આવતા ઢોરની પરવાનગી લેવાની આવશ્યક રહેશે. ગાય, ભેંસ અને બળદને છોડાવવા માટે 3000 રૂપિયા ચૂકવવાના રહેશે. સાથે ખોરાકનો ચાર્જ અને વહીવટી ચાર્જ લેખે 1000 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ પાડી અને પાડો બંનેને છોડાવવા માટે 2000 ચૂકવવાના રહેશે. તેની સાથે ખોરાકના અને વહીવટી ચાર્જ લેખે 600 રૂપિયા વસુલવામાં આવશે. વાછડા અને ધાવતા વાછડા માટે 1000 રુપિયા ચૂકવવાના રહેશે. જો કોઈ એકનું એક ઢોર ત્રણ વખત કરતા વધુ વખત પકડાશે તો ત્રણ વર્ષ માટે લાયસન્સની ફી 500 રૂપિયા ચૂકવવી પડશે. ઢોર રાખવાની પરમીટ ફી 250 રૂપિયા રાખવામાં આવી છે. લાયસન્સ રીન્યુ કરવા માટે 200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.