અમદાવાદઃ શહેરની નવરંગપુરા હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા. આ ચકચારી આગની ઘટનામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની કામગીરી ખૂબ જ વખાણવા લાયક રહી હતી. જેમણે પોતાના જીવની પરવાહ કર્યા વગર કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને આગમાંથી ઉગાર્યા હતા.


આ આગકાંડમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSI કે.એમ. પરમારની કામગીરી પણ બિરદાવા લાયક છે. આગની ઘટનામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા psi કે. એમ. પરમારે 41 જેટલા લોકોના જીવ બચાવ્યા હતા. PPE કીટ પહેર્યા વગર જ નીડર મહિલા psiએ લોકોના જીવ બચાવ્યા છે. નવરંગપુરા પોલીસે હોસ્પિટલમાં હાજર કર્મીઓ સહિત 8 લોકોના નિવેદન લેવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે.

જોકે, નવરંગપુરા પોલીસ સ્ટેશનના આ આઠ પોલીસકર્મીઓને હાલ, તો હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બચાવકાર્યમાં જોડાયા પછી પોલીસકર્મીઓને કોરોનાના લક્ષણો દેખાતા તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં આગ લાગ્યા પછી બચાવ્યા હતા.