હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ધીમે ધીમે સંક્રમણની સંખ્યા વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ચોંકાવારા ચાર કેસ સામે આવ્યા છે. અમદાવાદના 4 તબીબ કે જેમને પહેલા કોરોના થયો હતો અને તેઓ કોરોના સામે લડીને સાજા થઈ ગયા હતા તેમને ફરી એકવાર કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, હાલ અમદાવાદમાં 32,526 કોરોનાના કેસો નોંધાઈ ચૂક્યા છે.


સંક્રમિત થયેલા લોકોને ફરી કોરોના થયાના અમદાવાદમાં કિસ્સા સામે આવ્યા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદના લોકો માટે અતિ ગંભીર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના 4 લોકો કે જેમને પહેલા કોરોના થયો હતો અને તેમણે કોરોનાને મ્હાત આપી હતી જોકે તેમને ફરી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.

કોરોનાથી ફરી સંક્રમિત થયેલા લોકોમાં 3 રેસીડન્સ ડોક્ટર છે. આ દર્દીઓ GCRI હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે અને તેમના બ્લડ સેમ્પબલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કહેવામાં આવી રહ્યું હતું કે, કોરોના સામે એન્ટીબોડી બન્યા બાદ ફરીવાર કોરોના થતો નથી પરંતુ અમદાવાદમાં 4 લોકોને ફરી કોરોના થતાં લાગી રહ્યું છે કે, કોરોના પણ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે.

નોંધનીય છે કે, હાલ અમદાવાદમાં 4021 એક્ટિવ કેસ છે. કોરોનાને કારણે 1737 લોકોના મોત નિપજ્યાં છે. સોમવારે ગુજરાતમાં નોંધાયેલા કુલ 1330 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 149 અને જિલ્લામાં 23 કેસ નોંધાયા છે.