Latest Ahmedabad News: અમદાવાદ શહેરમાં (Ahmedabad city)  પાણીજન્ય રોગચાળો (waterborne diseases)  સતત વકરી રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ લોકોને ભરડવામાં લેવાનું શરૂ કર્યુ છે, શહેરમાં પાણીજન્ય રોગચાળા પર કોઈ અંકુશ નહીં હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ઝાડા -  ઉલ્ટીના ચાલુ મહિને 635 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના ચાલુ માસમાં 61 અને ટાઈફોઈડના 185 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સાદા મેલેરિયાના 12 અને ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચાલુ મહિને 1627 પાણીના સેમ્પલમાંથી 52 નમુના ફેઈલ થયા છે.


અમદાવાદમાં કેમ વકરી રહ્યો છે પાણીજન્ય રોગચાળો


શહેરમાં પાણીમાં પોલ્યુશન આવવા અંગેની ફરિયાદનો મ્યુનિસિપલ તંત્ર તરફથી સમયસર નિકાલ કરવામાં આવતો નથી.આ કારણથી પાણીજન્ય રોગના કેસ સતત વધી રહ્યા છે. આ મહિનાની શરૂઆતથી જ મદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા, ઉલટી ઉપરાંત કમળો તેમજ ટાઈફોઈડના કેસ સતત વધતા જઈ રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. વધતા કેસના કારણે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલ પણ હાઉસફૂલ થઈ રહી છે.


અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે એપ્રિલ માસમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. AMC હેલ્થ વિભાગ દ્વારા એપ્રિલ માસમાં પાણીના 4464 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે પૈકી 134 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા. ચાલુ વર્ષ દરમિયાન પાણીના 11 હજાર કરતા વધુ સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 196 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા હતા.