ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આગામી 23મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. જોકે, રથયાત્રા યોજાય તો કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે છે, તેવો રિપોર્ટ IBએ ગુજરાત સરકારને આપ્યો હતો. જેને કારણે સરકાર પણ રથયાત્રાને મંજૂરી આપવી કે નહીં તે અંગે ચિંતિત બની હતી. ત્યારે આજે ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.


ગૃહમંત્રી પ્રદીપસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં રથયાત્રા 23મી જૂનના રોજ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ પરંપરાગત રીતે નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો જે રૂટ છે, એ રૂટની અંદર લગભગ 1600 કરતા વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ અગાઉના દિવસોમાં હતા. રાજ્ય સરકારની સતત સતર્કતાને કારણે એની અંદર આપણે ઘટાડો કરવામાં સફળ રહ્યા છીએ. મૃત્યુદર ઘટાડવામાં સફળ રહ્યા છે. રાજ્યની અંદર સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેઇન કરવાથી આપણે સફળ રહ્યા છે.



તેમણે ઉમેર્યું હતું કે, હવે જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અઘરું બને અને જેના કારણે આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ છે. તેમજ રથયાત્રાનો જે આખો રૂટ છે, તેમાં 25 જેટલા કેન્ટેન્મેન્ટ ઝોન આવેલા છે. પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તો ફરીથી કોરોના પોઝિટિવ વધવાની શક્યતા છે. જેથી રાજ્ય સરકાર સમગ્ર બાબતોનો અભ્યાસ કર્યા પછી રાજ્ય સરકાર રથયાત્રા અંગે નિર્ણય લેશે. હાલના તબક્કે આ અંગેનો કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી.