અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મંદિર ખાતે મહત્વની બેઠક મળી હતી. રાથયાત્રામાં કેટલા લોકોએ હાજર રહેવું જે મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, 143મી રથયાત્રા 23 જૂને નીકળશે. હાલના સંજોગો જોતા નિર્ણય કરવાની સ્થિતિમાં ન હતા.


તેમણે જણાવ્યું હતું કે, આજે બેઠક થઈ. મહારાજની આજ્ઞા મુજબ નક્કી કરાયું છે કે સાદગીથી યાત્રા નીકળશે. રથયાત્રામાં ભજન મંડળી, ટ્રક, ઝાંખી આ વખતે નહીં હોય. માત્ર 3 ટ્રક જ યાત્રામાં જોડાશે. તમામને અપીલ કે ચેનલોને માધ્યમથી યાત્રા નિહાળે. સરકાર તરફથી હજુ જે દિશાનિર્દેશ મળશે તેને ફોલો કરીશું.

મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, 5 જૂને જળયાત્રા મહોત્સવમાં માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાશે. રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય લગભગ કોઈ નહીં હોય. એક રથમાં 30 જેટલા ખલાસી ભાઈઓ રહેશે તેવું આયોજન કરીશું. નિયમોનું પાલન કરાશે. મામેરામાં આ વખતે માત્ર એક કે બે લોકોને આમંત્રિત કરીશું, ભીડ ન થાય તેવું કરીશું. રણછોડ મંદિર તરફથી આ વખતે એક કે બે લોકોને જ આવવાનું કહેવાશે. સૂર્યગ્રહણ હોવાથી આ વખતે નેત્રોત્સવ વિધિ બપોરે 4 વાગ્યા બાદ થશે.