અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયર્સનું નિધન થયું છે. શહેરના જાણી સિનિયર ફિઝિશિયન ડૉ. પંકજ શેઠનું કોરોનાથી નિધન થતાં મેડિકલ જગતમાં દુઃખની લાગણી ફરી વળી છે. ડો. પંકજ શેઠ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)આઈએમએ અમદાવાદના પૂર્વ ટ્રેઝરર હતા.


ડો. પંકજ શેઠને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને અર્થમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 20 દિવસની સારવાર બાદ ગઈ કાલે મોડી રાત્રે તેમનું દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાનથી મેડિકલ જગતને મોટી ખોટ પડી છે. અમદાવાદના નવા વાડજમાં ડોક્ટર પંકજ શેઠ હોસ્પિટલ ધરાવતા હતા. તેમજ ઉંમર વધુ હોવા છતા તેઓ ગરીબ દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો.