અમદાવાદઃ શહેરમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ (કોરોના વોરિયર)એ પગારમાં કાપ મૂકાતા હોબાળો મચાવી દીધો હતો અને એસવીપી હોસ્પિટલના પટાંગણમાં જ ધરણા શરૂ કરી દીધા હતા. આ મુદ્દે ભારે હોબાળો થતાં UDS મેનેજમેન્ટે ઘૂંટણ ટેકવ્યા છે.


મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓને મેસેજ કરીને આ મુદ્દે જાણ કરી છે. કર્મચારીઓને મેસેજ કરીને જણાવવામાં આવ્યું છે કે, મેનેજમેન્ટે પગાર ઘટાડવાનો નિર્ણય પાછો લેવાનો નિર્ણય લીધો છે, જેના માટે ગયા અઠવાડિયે મેઇલ મોકલવામાં આવ્યો હતો. અમે તમને મેઇલ સાથે મોકલીશું.



નોંધનીય છે કે, એસવીપી હોસ્પિટલમાં કર્મચારીના પગારમાં કાપ મૂકવામાં આવ્યો હતો. એક સાથે ૨૦૦થી વધારે સ્ટાફની સેલરીમાં ૧૦,૦૦૦-૧૨,૦૦૦ રૂપિયાનો કાપ મુકાયો હતો. પહેલો ઓર્ડર ૩૫૦૦૦ અને બીજો ઓર્ડર ૨૨૦૦૦નો હતો. કર્મચારીને કામ કરવું હોય તો કરો નહીં તો જોબ છોડી દો તેવી ધમકી પણ આપવામાં આવી હતી. જોકે, હોબાળા પછી આ નિર્ણય પરત લેવાયો છે.

કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર માટે Svp હોસ્પિટલ ૨૫૦/- દૈનીક વધારવાની વાતને લઈને ફરીથી નકારી દીધી છે. કોઈ જ વધારો આપવામાં આવશે નહીં. કંપની લોસમાં છે એવો બચાવ કરવામાં આવી રહ્યો છે. ફરજિયાત ઓછી સેલરીવાળો ઓફર લેટર લો નહીં તો આ મહિનાની પણ સેલરી નહીં મળે, તેમ પણ કહ્યું હોવાનો આક્ષેપ કર્મચારીઓ લગાવ્યો હતો. કામ કરતા તમામ લોકો થર્ડ પાર્ટી કોન્ટ્રક્ટ પરના કર્મચારીઓ છે. UDS કંપનીને થર્ડ પાર્ટી કોન્ટ્રકટ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.