અમદાવાદ: દેશની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’ અમદાવાદ-મુંબઈ વચ્ચે સપ્ટેમ્બર મહનાથી દોડશે. આ ટ્રેનનું સંચાનલ આઈઆરસીટીસીને 3 વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. રેલવેએ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને અમદાવાદ - મુંબઈ અને નવી દિલ્હી-લખનઉ વચ્ચે આ ટ્રેન દોડાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

આ બન્ને ટ્રેન હાલ પુરતું 3 વર્ષ સુધી ચલાવવા માટે આપવામાં આવશે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે. આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમજ ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં આવશે નહીં. એ જ રીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં.

તેજસ એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ ચાલશે. અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડીને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડી અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે માર્ગમાં આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશને સ્ટોપ કરશે.

દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ હોલેજ કોન્સેપ્ટ પર દોડાવવામાં આવશે. એક ટ્રેન કે કોચને એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેને હોલેજ ખર્ચ કહેવામાં આવે છે. રેલવે જેને પણ ટ્રેન દોડાવવા માટે આપશે તેની પાસેથી હોલેજ ખર્ચ અને તેની ઉપર થોડોક નફો ગણી ચોક્કસ રૂપિયા લેશે. જ્યારે ટ્રેન ચલાવવામાં નફો કે નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે.