અમદાવાદઃ કોંગ્રેસે રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપેલી ટિકિટના કારણે અસંતોષ ચાલુ જ છે. આ અસંતોષમાં હવે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ જોડાયા છે અને તેમણે રાજીનામું આપવાની ધમકી આપી છે. બહેરામપુરા વોર્ડમાં એક મુસ્લિમ મહિલા ઉમેદવાર અને અન્ય મુસ્લિમ ઉમેદવારની પસંદગીના કારણે ધારાસભ્ય ખેડાવાલા નારાજ છે.


કોંગ્રેસે બહેરામપુરા વોર્ડમાં તસ્લિમ તિરમીઝી અને નઝમાં રંગરેઝને ટિકિટ આપતા ખેડાવાલા નારાજ થયા છે અને તેમણે રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસે બહેરામપુરામાં છ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, કમળાબેન ચાવડા, તસ્લિમ તીરમિઝી, નઝમાં રંગરેઝ, રફીક શેખ અને નફિસાબાનુંને મેન્ડેટ આપ્યા છે. આ પૈકી તસ્લિમ તિરમીઝી અને નઝમાં રંગરેઝને ટિકિટ અપાતાં ખેડાવાલા નારાજ થયા છે.

ઇમરાન ખેડાવાલાએ કાર્યકરોનો રોષ ઠંડો પાડવા રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. ખેડાવાલાની સાથે ફરતા કાર્યકરોને ટીકીટ ન મળતે તેમણે રાજીનામાની ચીમકી આપી હોવાનું કહેવાય છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઇમરાન ખેડાવાલા સાથે ટેલીફોનિક વાતચીત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવા સાંત્વના આપીને રાજીનામુ ન આપવા જણાવ્યું છે. પ્રમુખને મળીને મામલો શાંત પડી જાય અને ઇમરાનભાઈને મનાવી લેવામાં આવશે તેવો સુત્રોનો દાવો છે.