અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે ત્યારે ગુજરાત પણ પાછળ નથી. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ભારતના અન્ય શહેરની તુલનામાં અમદાવાદમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. જોકે અમદાવાદીઓ માટે સારા સમાચાર એ છે કે દેશના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદનો રિકવરી રેટ વધારે છે. 4 જૂનના આંકડા પ્રમાણે જોઈએ તો અમદાવાદનો રિકવરી રેટ 69 ટકા છે જ્યારે દેશના અન્ય મોટા શહેરોમાં ચેન્નઈનો રિકવરી રેટ 50.60 ટકા, દિલ્હીનો 40.3 ટકા અને મુંબઈનો રિકવરી રેટ 38.8 ટકા છે.


કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં મુંબઇ, દિલ્હી અને ચેન્નઇ બાદ અમદાવાદ ચોથા ક્રમે છે અને રિકવરી રેટમાં આ ત્રણેય શહેરોથી આગળ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં નોધાયેલા ૧૩,૩૫૪ પોઝિટિવ કેસો પૈકી ૯૨૨૮ કેસો સાજા થઇ ઘરે ગયા છે. મુંબઇમાં ૪૪,૯૩૧ કેસો પૈકી ૩૩,૬૮૧ દર્દીઓ રિકવર થયા છે. દિલ્હીમાં ૨૩,૬૪૫ કેસોમાંથી ૯૫૪૨ દર્દીઓ રિકવર થયા છે અને ચેન્નઇમાં ૧૮,૬૯૩માંથી ૯૪૫૯ દર્દીઓ રિકવર થયા છે.

4 જૂનના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 220695 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213262 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7433 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.