અમદાવાદઃ શહેરમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્માને કોરોના થયો છે. દિનેશ શર્માના પુત્રને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિનેશ શર્મા બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે. અત્યાર સુધીમાં બે ધારાસભ્ય અને કેટલાક કોર્પોરેટર્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જ્યારે બદરુદ્દીન શેખ સહિત ત્રણ નેતાઓનું કોરોનાના નિધન થયું છે.


એએમસીમાં વિપક્ષના નેતા દિનેશ શર્માને તાવ આવતાં તેમણે ગઈ કાલે રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. તે અને તેમનો પુત્ર કોરોનાની સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ થશે. તેમજ તેમના પરિવારને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. અત્યાર સુધીમાં કોર્પોરેટર કમળા ચાવડા(ડિસ્ચાર્જ), જ્યોત્સના પટેલ(હોમ કોરોન્ટીન,ડિસ્ચાર્જ), રમેશ પટેલ(ડિસ્ચાર્જ), યશવંત યોગી(ડિસ્ચાર્જ)ને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.

અગાઉ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના થયો હતો. જોકે, તેમણે કોરોનાને મ્હાત આપી દીધી છે. આ ઉપરાંત ભાજપ શહેર પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે.