AHMEDABAD : અમદાવાદના શહેરીજનો માટે AMTS બસની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. હવે AMTS બસ લાલ દરવાજાથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ સુધી દોડશે. લાલ દરવાજા દિવસમાં AMTS બસના દરરોજ પાંચ ફેરા થોળ સુધી થશે. આ સુવિધાનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે 6 મેં ના રોજ શુક્રવારે થોળ ગ્રામ  પંચાયત ભવનથી થશે. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, કડીના ધારાસભ્ય કરશન સોલંકી, AUDAના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા ઉપસ્થિત રહેશે. 


રુટમાં ક્યાં સ્થળોનો સમાવેશ? 
આ બસ લાલ દરવાજાથી નહેરુબ્રિજ, નટરાજ સિનેમા, નવરંગપુરા, કોમર્સ કોલેજ, ગુરુકુળ, હેબતપુર ક્રોસ રોડ, થલતેજ ગામ, શીલજ ગામ, રાંચરડા ગામ, ડાભલા ચોંકડી, અઢાણા ગામ, સધીમાતાનું મંદિર, ચંદનપુરા ચોકડી થઇ થોળ ગામના સરદાર ચોક પહોંચશે. 


થોળ પક્ષી અભયારણ્ય સરળતાથી પહોંચી શકાશે 
થોળ એ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાનું આવેલું એક ગામ છે. થોળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.


થોળ ગામ નજીક એક કૃત્રિમ તળાવ આવેલું છે. તે સિંચાઇ માટે 1912માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે. 1988માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશના હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે.


150 જાતિના પક્ષીઓની નિવાસસ્થાન થોળ અભયારણ્ય 
થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 150 જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં 60 ટકા પાણીના પક્ષીઓ છે. ઘણાં સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા મૂકી છે. સુરખાબ અને સારસ એ આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે.આ વિસ્તારના પર્યાવરણને 1986ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે.આ તળાવનું બાંધકામ 1912માં ગાયકવાડ શાસન વડે સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે થયું હતું. હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે.