અમદાવાદઃ કોરોનાને લઈને અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લાં થોડા દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પણ સ્વામિનારાયણ સંસ્થાના સંતોને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે.


મળતી માહિતી મુજબ મણિનગર સ્વામિનારાયણના 11 જેટલા સંતોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 જેટલા સંતોને કોરોના થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોનું સ્વાસ્થ્ય સુધારા પર છે. સંસ્થાના અન્ય સંતોને મંદિરમાં જ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા અનુસાર, રાજ્યમાં કોરોનાના વધુ 620 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 422 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 32643 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1848 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 23670 દર્દીઓ સાજા થયા છે.

20 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 1 અને નવસારીમાં 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1848 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6928 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 6857 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે.