Gujarat Asaram Rape Case:  આસારામને સંડોવતા 2013ના બળાત્કાર કેસમાં નીચલી અદાલત દ્વારા છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં અપીલ કરશે. રાજ્ય સરકારના કાયદા વિભાગે આ નિર્ણય લીધો છે. સરકાર આસારામની પત્ની, તેમની પુત્રી અને તેમના ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવાના કેસને પડકારશે. આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.


ફરિયાદ પક્ષે ગાંધીનગર કોર્ટના 31 જાન્યુઆરીના આદેશને પડકારવા માટે સરકારની સંમતિ પણ માંગી છે, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે જોધપુર અને અમદાવાદના કેસમાં આસારામને આજીવન કેદની સજા એકસાથે ચાલવી જોઈએ. કાનૂની અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ હોવાથી ટ્રાયલ કોર્ટને એક સાથેની સજા નક્કી કરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી.


ગાંધીનગર કોર્ટે સજા ફટકારી હતી


ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ ગાંધીનગરની એક કોર્ટે આસારામને તેની પૂર્વ મહિલા શિષ્યા દ્વારા 2013માં નોંધાયેલા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને તેના ચાર શિષ્યોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા, જેમના પર ગુનામાં મદદ કરવાનો આરોપ હતો.


જોધપુર જેલમાં બંધ છે આસારામ


2013માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં આસારામ હાલમાં રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આસારામને અમદાવાદ નજીક મોટેરા સ્થિત તેમના આશ્રમમાં 2001 થી 2007 દરમિયાન સુરત સ્થિત શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવા બદલ ગાંધીનગર કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.


મણિપુર હિંસાની તપાસ માટે બનશે આયોગ


કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે (1 જૂન) મણિપુર હિંસા પર એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે મેં ત્રણ દિવસથી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. મેં રાજ્યના કેબિનેટ મંત્રીઓ સહિત દરેક સમુદાય સાથે બેઠક કરી છે. ભારત સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના લેવલના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા હિંસાની તપાસ કરાવશે.  આ માટે એક કમિશનની રચના કરવામાં આવશે. આ સાથે ભારત સરકાર શાંતિ સમિતિની પણ રચના કરશે. મણિપુરમાં ઘણી એજન્સીઓ કામ કરી રહી છે.


અમિત શાહે કહ્યું હતું કે પીડિત પરિવારોને વળતર મળશે. મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 5-5 લાખનું વળતર આપવામાં આવશે. સાથે જ સીબીઆઈની વિશેષ ટીમ 6 કેસની તપાસ કરશે. આ દરમિયાન ગૃહમંત્રીએ તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અફવાઓ પર ધ્યાન ન આપો. હવે રાજ્યમાં સ્થિતિ સારી છે.