અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાથી સાજા થવાનો દર ટોચ પર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ નોંધાયેલા કેસની સામે સાજા થનારા દર્દીઓનો દર 99.69 ટકા રહ્યો છે. જ્યારે મૃત્યુદર ઘરીના માત્ર 1.08 ટકા જ રહ્યો છે.


ગત એક માસમાં ગુજરાતમાં કોરોનાના કુલ ૩૯,૫૬૯ કેસ નોંધાયા હતા. જેની સામે ૩૯,૪૪૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગત માસમાં માત્ર ૪૩૧ લોકોના કોરોનાથી મોત થયા હતા. આમ, સપ્ટેમ્બર મહિલાના કોરોનાથી સ્વસ્થ થવાનો દર ખૂબ જ ઊંચો રહ્યો છે. જ્યારે મૃત્યુદર તળીયે આવતા મોટી રાહત થઈ છે.

ગુજરાતમાં માર્ચ મહિનાના ૧૩ દિવસમાં કુલ ૭૪ પોઝિટિવ કેસ આવ્યાં હતાસ, જેમાંથી ૬ દર્દીનાં મોત થયાં હતાં. આ પછી એપ્રિલ મહિનામાં કુલ ૪,૩૨૧ કેસ નોંધાયા હતા. જેની સામે ૨૦૮ દર્દીનાં મોત થયાં હતાં.

મે મહિનામાં ૧૨,૩૯૯ કેસ નોંધાયા હતા, જેની સામે ૮૨૪ દર્દીનાં મોત થયાં હતાં. જૂન મહિનામાં ૧૫,૮૪૯ કેસ નોંધાયા હતા, જેની સામે ૮૧૦ દર્દીનાં મોત થયાં હતાં. જુલાઈ મહિનામાં ૨૮,૭૯૫ કેસ નોંધાયા હતા, જેની સામે ૫૯૩ દર્દીનાં મોત થયાં હતાં.

આમ, ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર જુલાઈ માસથી ઘટવાનો શરૂ થયો હતો અને તેની સામે સ્વસ્થ થવાનો દર વધવા લાગ્યો હતો. ઓગસ્ટ મહિનામાં ૩૪,૯૯૭ કેસ નોંધાયા હતા, જેની સામે ૫૮૧ દર્દીનાં મોત થયાં હતાં. જેની ટકાવારી ૧.૬૬ ટકા રહી હતી. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કુલ ૩૯,૫૬૯ કેસ નોંધાયા હતા, જેની સામે ૪૩૧ દર્દીનાં મોત થયાં છે.

માર્ચ-એપ્રિલમાં ૬૧૩ દર્દીઓ સાજા થયા હતા. મે મહિનામાં સાજા થનાર દર્દીની સંખ્યા ૯,૩૦૬ હતી, જૂનમાં ૧૩,૭૫૧, જુલાઈમાં ૨૧,૨૩૭, ઓગસ્ટમાં ૩૨,૮૭૫ અને સપ્ટેમ્બરમાં આ સંખ્યા વધીને ૩૯,૪૪૯એ પહોંચી હતી.