Biparjoy Cyclone: વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ,દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ દરમિયાન હવામાન અંબાલાલ પટેલે આંકલન કર્યું છે.


શું કહ્યું અંબાલાલ પટેલ


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું કે, પશ્ચિમ-ઉત્તરના ભાગોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. વાવાઝોડાનું જોખમ જખૌ બંદર પર છે. પૂર્વ ગુજરાત અને રાજસ્થાનના ભાગો પર પણ વાવાઝોડાની અસર થશે. મધ્ય ગુજરાતમાં પણ પવનની અસર થશે. માર્કેટ યાર્ડમાં પડેલ જણસની ખાસ કાળજી લેવી પડશે.



બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. વાવાઝોડાના કારણે મધદરિયે ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરાયા હતા. મળતી જાણકારી અનુસાર દ્વારકામાં કોસ્ટગાર્ડે મધદરિયેથી 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ગઇકાલે રાત્રે 26 અને સવારે 24 લોકોને એરલિફ્ટ કરાયા હતા. તમામને  ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓખા ઓપરેશન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. તમામ લોકો એક ખાનગી કંપનીના ઓઇલ રિગમાં કામ કરતા હતા.


બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકામાં દરિયાના પાણી ઘૂસ્યા હતા. દરિયામાં મોજા ઉછળતા ગોમતી ઘાટ પાસેથી દરિયાના પાણી ઘૂસ્યા હતા. ગોમતી ઘાટ પર ભારે પવન પણ ફુંકાઈ રહ્યો છે.


પાલિતાણા માર્કેટ યાર્ડ આજથી પાંચ દિવસ બંધ


વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાવનગરના પાલિતાણા માર્કેટ યાર્ડ આજથી પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી કપાસ, અનાજ, કઠોળની હરાજી બંધ રહેશે. બાદમાં 19 જૂનથી પાલિતાણા યાર્ડમાં રાબેતા મુજબ શરૂ થશે.


સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે ભારે વરસાદ


અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.


વાવાઝોડાની તિવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર 8 ઈંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે