Gujarat Election 2022: ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા અશોક ગેહલોત અમદાવાદમાં છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે.  




ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે અશોત ગેહલોત સાથે મુલાકાત કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા અશોક ગેહલોત અને જયનારાયણ વ્યાસ વચ્ચે થયેલી બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે 20 મિનિટ જેટલો સમય બંને નેતાઓએ બંધ બારણે બેઠક કરી હતી. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ છે.


ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો


ચૂંટણી પહેલા છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાધિકા રાઠવાએ ફેસબુક ઉપર કેજરીવાલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. રાધિકા કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અમરસિંહ રાઠવાના સુપુત્રી છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ કમેટીમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. રાધિકા રાઠવા 138 જેતપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. નોંધનિય છે કે, આ બેઠક ઉપર વિપક્ષ નેતા સુખરામ રાઠવા વર્તમાન ધારાસભ્ય છે.


સુરતના આ દિગ્ગજ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે


 મિશન 2022ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવશે. અલ્પેશ કથીરીયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથિરિયા આપમાં જોડાશે. નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. abp અસ્મિતા સાથેની ટેલીફોનીક વાતમાં અલ્પેશે સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.


કેજરીવાલનો ગુજરાતમાં મોટો દાવ


વિધાનસભાની ચૂંટણીને લઈને આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આજે ડેડીયાપાડા ખાતે જનસભા યોજાઈ હતી. તો બીજી તરફ આજે રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ભાવનગર જશે. રાત્રી રોકાણ હોટલ નિલમબાગ ખાતે કરશે અને સવારે કરશે પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે 11 વાગે હોટલ નિલમબાગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની પ્રેસ યોજાશે.


આ પ્રસંગે એવી માહિતી સામે આવી રહી છે કે, ભાવનગર વિર માંધાતા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાય તેવી સંભાવના છે. અગાવ રાજુ સોલંકી સૌ પ્રથમવાર કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 24 કલાકમાં જ તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા.  હવે તેઓ આમ આદમી પાર્ટીનું જાડું પકડશે. આવતીકાલે બંને સીએમની ઉપસ્થિતિમાં રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.